ગાંધીનગર : રાજ્યમાં સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્યના નાગરીકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવા માટે સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે સાયબર સેલ અંતર્ગત એક પોલીસ સ્ટેશન, નવ રેન્જ કક્ષાએ અને ચાર કમિશ્નરેટ વિસ્તારમાં એમ મળીને કુલ ૧૪ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ ૧૦ જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યના નાગરીકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત કરવા ઘરઆંગણે સેવા હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે ‘સાયબર આશ્વસ્ત’ પ્રૉજેક્ટ હેઠળ સાયબર ઇ‌ન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટ, એન્ટી સાયબર બુલિંગ યુનિટ, સાયબર ક્રાઇમ પ્રીવેન્શન યુનિટ અને સાયબર સુરક્ષા લેબ કાર્યાન્વિત કરાશે. 


કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં સોશિયલ મિડીયાના માધ્યમથી ખોટી અફવાઓ ફેલાવનાર સાવધાન રહે. સાયબર ક્રાઇમને અટકાવવા અને આવા ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા રાજ્યમાં સ્ટેટ સી.આઇ.ડી. ક્રાઇમ સાયબર સેલમાં ચોવીસ કલાક ફરિયાદની સુવિધા :  સાયબર એકસ્પર્ટ પોલીસની ટીમ સુસજજ - ૯૨૨ અધિકારી-કર્મીઓનું મહેકમ રચવામાં આવશે. 


સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૮,૩૨૮ નાગરિકોના રૂા.૧૮.૧૧ કરોડ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમાં કરાવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે. “ 21 મી સદી ડિજિટલ ક્રાંતિ અને આધુનિક ઇનોવેશનની સદી છે  હોવાનું પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે. 


ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.આજે આખા વિશ્વમાં “ડીજિટલ ક્રાંતિ” ફેલાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આ બાબતે ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યુ છે. અત્યારે નાગરીકો કોરોના મહામારીના કારણે ઓનલાઇન શોપીંગ, રીચાર્જ, નાણાની ચુકવણી, ઇ-મીટીંગો, વેબીનાર જેવી ડીજિટલ સેવાનો લાભ લઇ રહ્યા છે. જે ટેકનોલોજીનો સદુપયોગ છે. પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ્સ દ્વારા આ જ ટેકનોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપીંડી પણ થઇ રહી છે આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. આવા વ્યક્તિઓ સામે કાનુની કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સજાગ છે. 


એકવીસમી સદી ટેક્નોલોજીની સદી છે અને ટેક્નોલોજીના માધ્યમ થકી રાજ્યનો કોઇપણ નાગરિક છેતરાય નહિ તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ અને રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અવનવા અને હાઇફાઇ કિમિયાઓ અપનાવીને વાઇફાઇની મદદથી સાયબર ક્રાઇમ કરતા ટેક્નોક્રેટ ભેજાબાજ ગુનેગારોને પકડવા માટે  “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ લૉન્ચ કર્યો છે. 


મંત્રીએ ઉમેર્યુ કે સાયબર ક્રાઈમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવી રહી છે. “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ હેઠળ સાયબર ઇ‌ન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU), એન્ટી સાયબર બુલિંગ યુનિટ (ABU), સાયબર ક્રાઇમ પ્રીવેન્શન યુનિટ (CCPU), સાયબર સુરક્ષા લેબ (CSL) એમ કુલ-૦૪ સેવાઓનો સીધો લાભ રાજ્યના નાગરીકોને મળ્યો છે. 


સાયબર ઈન્સીડેન્ટ રીસ્પોન્સ યુનિટ અંગે વિગતો આપતાં મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, આ યુનિટ સાયબર ફ્રૉડનો ભોગ બનનાર નાગરિકની ફરિયાદની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને, પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થાય છે. આ યુનિટને આજ સુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૮,૩૨૮ નાગરિકોના રૂા.૧૮.૧૧ કરોડ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમાં કરાવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે.  


મંત્રીએ ઉમેર્યું કે, સોશીયલ મિડિયા પર સાયબર બુલિંગનો ભોગ બનતાં તરુણ યુવાન/યુવતીઓ અને મહિલાઓને એન્ટી સાયબર બુલીંગ યુનિટ દ્વારા રૂબરૂ અથવા ફૉન પર માનસિક હિંમત આપીને, તેઓ કોઇ ખોટાં પગલાં ભરતા અટકાવવા અને તેમની સમસ્યાના નિરાકરણ અંગેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં ૪,૧૦૯ નાગરીકોની ફરીયાદના આધારે ત્વરીત સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી છે. 


સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ અંગે વિગતો આપતાં મંત્રી જાડેજાએ જણાવ્યું કે, આ યુનિટ દ્વારા સાયબર ક્રાઇમના ફાઇનાન્શિયલ ફ્રૉડ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબરનો ડેટા https://gujaratcybercrime.org પૉર્ટલ પર અપડેટ કરવામાં આવે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં ૭,૨૩,૯૩૯ જેટલા નાગરિકોને બલ્ક મેસેજ કરી આવા ફ્રોડથી સાવચેત કરવામાં આવ્યા છે. 


સાયબર સુરક્ષા લેબ અંગે માહિતી આપતાં મંત્રીએ કહ્યું કે, કિઓસ્ક(KIOSK) મશીનના માધ્યમથી નાગરિકો જાતે જ પોતાના ડિજિટલ ડિવાઇસ તથા સ્ટોરેજ ડિવાઇસ સ્કેન કરી તેમાં રહેલ વાઇરસ, માલવેર, સ્પાયવેર દૂર કરીને પોતાના ડીવાઇસને સુરક્ષિત કરી શકે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં ૯૫૨ જેટલા મોબાઇલ ફૉન, ૫૮ જેટલી પેન ડ્રાઇવ, ૦૨ મેમરી કાર્ડને સ્કેન કરી તેમાંથી ૯૮૧ જેટલા વાયરસ શોધવામાં આવ્યા છે. 


મંત્રી  એ કહ્યુ કે,સાયબર ક્રાઇમને સંબંધિત ગુનાઓને રોકવા અને આ ગુનાઓને ઉકેલવા માટે એટલે કે, સમગ્ર ગૂજરાત માટે  રાજ્ય કક્ષાએ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક ૧ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે. જ્યારે, સાયબર ક્રાઇમને અટકાવવા માટે, સાયબર ક્રાઇમ તંત્રને વધુ અધ્યતન તથા સુસજ્જ કરવા માટે રાજયના ૪ શહેરો એટલે કે, ૪ કમિશ્નરેટ વિસ્તાર – અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે અને  રાજ્યની ૯ રેન્જ(ક્ષેત્રીય વિભાગ) ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે. આ સાયબર પોલીસ સ્ટેશનોના વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ-૭૦૪ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. 


જિલ્લા કક્ષાએ પણ સાયબર પોલીસ સ્ટેશનને  કાર્યાન્વિત કરવા માટે  રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ-૧૦(દસ) જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કર્યા છે અને આ જિલ્લા કક્ષાના સાયબર પોલીસ સ્ટેશનોના પણ વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ-૨૧૮ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. 


રાજ્યની શાંતિ અને સલામતિનો આધાર ગુનાઓ બન્યા પહેલાં એના પ્રિવેન્શન, ગુનાઓ બન્યા બાદ એના ડિટેક્શન અને ડિટેક્શન થયા પછી એના કન્વિક્શન એમ ત્રણ બાબતો પર રહેલો છે ત્યારે, સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓને અટકાવવામાં, ભોગ બનનાર વ્યક્તિઓને સહાયરૂપ થવામાં અને નાગરિકોની સાયબર સુરક્ષા માટે રાજ્યમાં જિલ્લા કક્ષા સુધી વિસ્તૃત સાયબર પોલીસ સ્ટેશન વરદાનરૂપ બની રહેશે તેવું મારૂ સ્પષ્ટ માનવું છે તેમ મંત્રી જાડેજાએ જણાવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube