ભાવિન ત્રિવેદી/જુનાગઢ :ગરવા ગિરનારની લીલી પરિક્રમાને તંત્ર દ્વારા છેલ્લી ઘડીયે શરતી મંજૂરી આપતા મોડી રાત સુધીમાં 50 હજાર જેટલા ભાવિકો ભવનાથ પહોંચી ગયા હતા. મોડી રાત્રે સાધુ સંતો અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં પરિક્રમાનો પ્રારંભ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા અતિ કઠિન માનવામાં આવે છે. ગિરનાર ફરતે 36 કિલોમીટર ચાલીને ત્રણ રાત્રિનું રોકાણ થાય છે. ત્યારે વર્ષોથી વહીવટી તંત્ર દ્વારા 15 દિવસ અગાઉ તૈયારીઓ કરવામાં છે. પણ આ વર્ષે તંત્ર દ્વારા પહેલા માત્ર 400 લોકો પરિક્રમા કરશે તેવી છૂટ આપવામાં આવી હતી. ત્યારે સામાજીક સંસ્થાની સાથે અનેક આગેવાનોએ પરિક્રમા થવી જોઈએ તેવી ધારદાર રજૂઆત કરતા અંતે છેલ્લી ઘડીયે ભાવિકોને પરિક્રમા કરવાની છૂટ અપાઈ હતી. આ સમાચાર મળતા જ ભાવિકોનો ઘસારો ભવનાથ તરફ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધીમાં 50 હજાર જેટલા ભાવિકો પરિક્રમા રૂટ ઉપર જોવા મળ્યા હતા. ત્યારે ગિરનાર જંગલના પરિક્રમા રૂટ પર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં આવી નથી. ભક્તો માટે લાઈટ, પાણી, ભોજન અને રસ્તા સહિતની સુવિધાનો અભાવ છે. જેના લીધે પરિક્રમા કરવા આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.


આ પણ વાંચો : Lady Don of Gujarat: ગુજરાતની આ લેડી ડોન સામે પાણી ભરે છે મોટા ગુંડા, તલવારો રાખવાનો છે શોખ



દેવ દિવાળી અને અગ્યારશથી વર્ષોની પરંપરા મુજબ ગિરનાર પરિક્રમા મધ્ય રાત્રિએ 12 વાગે શરૂ થાય છે. ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્રના સાધુ સંતો અને વહીવટી તંત્ર અધિકારીઓ અને પદાઅધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ તળેટી પરિક્રમાના રૂપાયતન ગેટ પાસે દીપ પ્રાગટ્યની સાથે રીબીન કાપીને શ્રીફળ વધેરી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંત ઇન્દ્રભારતી બાપુના કહેવા મુજબ, સરકાર દ્વારા કોરોનાને ધ્યાને લઈને પરિક્રમાને મંજૂરી આપી છે. જેમાં વેહલી સવાર 4 થી 8 વાગ્યા સુધીમાં 400-400 ની સંખ્યામાં ભાવિકોને જવા દેવામાં આવશે. સાધુ સંતોએ સરકાર અને તંત્રને રજૂઆત કરતા અંતે જે રીતે મંજૂરી આપવામાં આવી છે તે જ રીતે પરિક્રમા યોજાશે. તો બીજી તરફ પરિક્રમા રૂટ ઉપર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં નથી આવી. ત્યારે સાધુ સંતો દ્વારા જે બને તેટલી સુવીધા ઉભી કરવામાં આવી છે. ત્યારે વૃદ્ધોએ ખાસ ધ્યાનથી પરિક્રમા કરવી અને આ વર્ષે પરિક્રમા કરવા આવેલ ભાવિકોને મુશ્કેલી પડે તો માફી માંગીયે છે.


આ પણ વાંચો : શોકિંગ ડે અગેઈન : ડાયરીમાં યુવતીએ દુષ્કર્મની જે આપવીતી લખી તે વાંચીને તમારું દિલ પણ રડી પડશે



જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમા કરવા પ્રતિ વર્ષ 8 થી 10 લાખ લોકો દેશભરમાંથી ઉમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે પણ કોરોનાની અસર ઓછી થતા ઘણા ભાવિકો પરીક્રમા યોજાશે તેવા હેતુથી પહેલા જ આવી ગયા હતા અને ત્યાર બાદ ગણતરીના કલાકો બાકી હતા ત્યારે પરિક્રમા થશે તેવા સમાચાર મળતા ભક્તોનું ઘોડાપૂર ભવનાથ તળેટી તરફ જોવા મળ્યું હતું. ત્યારે અનેક ભાવિકો કોઈ પણ સુવિધા વગર પોતાનું ભોજન સાથે લાવીને પણ પરિક્રમા કરવા તૈયાર છે.