Anuj Patel Brain Stroke : ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓની સારવાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ આજે વધુ સારવાર માટે અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. તો બીજી તરફ, પુત્રની નાદુરસ્તીને કારણે જામનગરમાં સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં મુખ્યમંત્રી ઉપસ્થિત નહિ રહી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેના બાદ આજે તેમને વધુ સારવાર અર્થે મુંબઇ શિફ્ટ કરાયા છે. હવે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં હવે અનુજ પટેલની વધુ સારવાર થશે. પુત્ર અનુજ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ મુંબઇ જવા રવાના થયા છે. ત્યારે પુત્રના સ્વાસ્થય માટે મુખ્યમંત્રી પિતા ચિંતિત જોવા મળ્યાં. 


સ્થાપના દિવસના કાર્યક્રમમાં ગેરહાજર
ગુજરાતના 63માં સ્થાપના દિવસની આ વખચે ગૌરવ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગરમાં આજે સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાના એવા ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ કાર્યક્રમ મુખ્યમંત્રીની ગેરહાજરીમાં ઉજવાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે આજે થનારી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો માં ઉપસ્થિત રહી શકશે નહિ. ગુજરાત ગૌરવ દિવસના જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થશે તેવુ જણાવવામા આવ્યું.


ઉલ્લેખનીય છે કે, રવિવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક કે. ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલની 2 કલાક સુધી સર્જરી ચાલી હતી. 


અનુજ પટેલ વિશે?
અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.