હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. વેક્સીન પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લેટેસ્ટ સ્થિતિ મુજબ, દર કલાકે ગુજરાતમાં 46 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હવે કોરોના મામલે ઢીલાસ નહિ ચાલે. લોકોને બિનજરૂરી હેરફેર ન કરવાની મુખ્યમંત્રીએ અપીલ કરી છે. સાથે જ લોકડાઉનની શક્યતા વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી કે, લોકડાઉન નહિ આવે. આમ, તેમણે લોકડાઉનની વાતો અને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું છે. સાથે જ કહ્યું કે, પરીક્ષા રદ કરવા મામલે હવે પછી નિર્ણય લેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, પહેલા વ્યવસ્થાઓ હતી, તે રીતે જ બેડ તૈયાર છે. કેસ વધે તેની સરખામણીમાં છ ગણા બેડ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં આવશ્યકતા મુજબ વ્યવસ્થા કરીશું. આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, કડકાઈ કરાવવામાં આવશે. સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. એસઓપીનું ભંગ ન થાય તે જોવાશે. પણ હાલ લોકડાઉનની વાત નથી. ભૂતકાળમાં કર્યું હતું, પણ હાલ લોકડાઉન નહિ લગાવાય. શાળા-કોલેજ ચાલુ રાખવા કે નહિ તે નિર્ણય આગામી સમયમાં લેવાશે.