અતુલ તિવારી/અમદાવાદ :એક દિવસ હડતાળ મોકૂફીની જાહેરાત કરનારા હડતાળિયા ડૉક્ટરો સાથે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી. પડતર પ્રશ્નો મુદ્દે તબીબોએ લેખિતમાં માંગ કરી હતી. તબીબોની આરોગ્યમંત્રી, ACS સાથે બેઠક થઈ  હતી. આ બેઠક બાદ ડોક્ટરોની હડતાળનો અંત આવ્યો છે. બેઠક બાદ GMTa ના પ્રેસિડેન્ટ ડોકટર રજનીશ પટેલે જણાવ્યુ કે, સરકારે જે હૈયાધારણા આપી, જે મુદ્દા ઉકેલ્યા એ માટે આભારી છીએ. 2012 થી કેટલાક મુદ્દાઓ બાકી હતા, જેનો અંત આવ્યો છે. સરકારે અમારી તમામ માગણીઓ પૂરી કરી છે. સેવા વિનિયમિત, એડકોહ સેવા, બઢતી આપવી, ઉચ્ચતર પગાર ધોરણ આપવું સ્વીકારી લેવાયું છે. સરકારે હકારાત્મક અભિગમ બતાવ્યો છે એ પછી હડતાળ પાછી ખેચીએ છીએ. અમારી જગ્યાઓ ખાલી છે એ અંગે પણ આજે જગ્યાઓ ભરવા વાત થઈ છે. કોવિડ વખતે ડોકટરોએ જાનની બાજી લગાવી છે, સરકારે એ માટે ટેકો આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી ગુજરાતભરના 10 હજાર ડોક્ટરો હડતાળ પર ઉતરવાના હતા. પડતર પ્રશ્નો મામલે નિરાકરણ ના આવતા ડોક્ટરો ત્રીજી લહેરમાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને હડતાળના માર્ગે જવાના હતા. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. 14 જાન્યુઆરીએ ડોકટર્સ ફોરમની ઓનલાઇન બેઠક મળી હતી. જેમાં કોઈ ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. GMTA, GIDA, GMERS, ઈન- સર્વિસ ડોકટર્સ, ESIS જેવા સંગઠનો જોડાવાના હતા. પરંતુ તબીબો હડતાળ પર ઉતરે તે પહેલા જ ઘીના ઠામમાં ઘી ઠર્યુ છે. 



આજે સવારે રાજ્યના સરકારી તબીબોની હડતાળ ફરી એકવાર મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે વાટાઘાટો બાદ વધુ એકવાર બેઠક કરવાનો નિર્ણય લેવાયો હતો.