ઝી બ્યુરો/ ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષકોની હાલત દીવસેને દીવસે ખરાબ થઈ રહી છે. શિક્ષકો માત્ર બાળકોનું ઘડતર કરનાર શિક્ષકો નથી રહ્યાં. કદાચ એવું બને કે આગામી દિવસોમાં કોઈ શિક્ષક બનવા તૈયાર ના થાય. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં ચિત્ર અને સંગીતના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આમ છતાં ભરતી કરવામાં આવી રહી નહોતી પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની સરકારે શાળાઓમાં માનદવેતન સાથે સંગીત શિક્ષકની નિમણૂક કરવાનો  એક પરિપત્ર કર્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર - સંગીત શિક્ષકની જગ્યા ભરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા પરિપ્ત્રને જોઈને ઘણા શિક્ષકોના ભવાં ચડી ગયા છે. સરકારનો નિર્ણય યોગ્ય એટલા માટે છે કે સ્કૂલોમાં ચિત્ર-સંગીતના શિક્ષકો મળશે પણ સરકાર એ ભૂલી રહી છે. મીનિમમ વેજ કોડમાં સ્કીલ્ડ વ્યક્તિને 12 હજાર પગાર આપવો ફરજિયાત છે. એ સાચું કે શિક્ષકોના કામના કલાકો ઓછા છે પણ શિક્ષક એ આગામી ભવિષ્યનું ઘડતર કરે છે એમને દિનદહાડી કરતાં મજૂરોની જેમ એક ક્લાસના 50 રૂપિયા આપવા કેટલા યોગ્ય એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંગીત વિશારદની ડીગ્રી પણ પગાર 9000 


ગુજરાત સરકારના આ આદેશમાં ચિત્ર-સંગીતના શિક્ષકોને એક તાસના રૂપિયા 50 મહત્તમ આપવાના રહેશે. વધુમાં વધુ 6થી 8 તાસની કામગીરી સંગીત શિક્ષકને અપાશે. જેના કારણે ચિત્ર-સંગીતના શિક્ષકોને માસિક 9000 રૂપિયા સુધીનું મહત્તમ વેતન અપાશે. સરકારની જાહેરાતમાં ચિત્ર-સંગીતના શિક્ષકોની મહત્તમ 38 વર્ષ સુધીની ઉમર અને સંગીત વિશારદની ડિગ્રીને લાયકાત ગણાવી છે. રાજ્ય સરકારના આદેશમાં આવા સંગીત શિક્ષકને નિમણૂંક પ્રમાણપત્ર આપવામાં નહીં આવે. સરકારને સંગીત વિશારદ જોઈએ છે પણ પગાર એક સરકારી શાળાના કાયમી પટાવાળા કરતાં પણ ઓછો આપવો છે. હાલમાં મજૂરી કરતો મજૂર પણ 9000 કરતાં પણ વધારે કમાય છે. આ શિક્ષકોને સરકાર વધુમાં વધુ 9000 પગાર આપવાની છે. શું કોઈ સંગીત વિશારદ 9000ના પગારમાં નોકરી આવશે એ સૌથી મોટો સવાલ છે.  







 


 


મહત્વનું એ છેકે, રમશે ગુજરાત, સ્વસ્થ બનશે ગુજરાત એવું સૂત્ર આપ્યું છે. ખેલ મહાકૂંભ યોજાય છે પણ ખેલ શિખવનારા શિક્ષકો નથી. અગાઉ દરેક જિલ્લામાં 11 મહિનાના કરાર આધારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. શિક્ષકો 15 વર્ષથી ગાંધીનગરમાં આ રજૂઆત કરતા હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. 


વ્યાયામ શિક્ષકોની પણ અનેક જગ્યાઓ ખાલી


તમને જણાવી દઈએ કે, ગુજરાતની શાળાઓમાં છેલ્લા કેટલાંક વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતી થવા દીધી નહોતી. એક અંદાજ પ્રમાણે અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે. ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળાઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી હોવાની ચર્ચા છે.


ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કલા અને વ્યાયામ વિષય ફરજીયાત છે તેમ છતાં 2001થી કલા વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ છે. રોજમદાર તરીકે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. હવે તો આ પરિપત્ર ગુજરાતના સંગીત વિશારદોને મજૂર બનાવી રહ્યો છે.