Property in Gujarat: હાલ સૌ કોઈની નજર 4 જૂનો આવનારા લોકસભાની ચૂંટણીઓના પરિણામો પર છે. ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ દેશભરમાં એક સાથે ઘણાં ફેરફાર થશે તે સ્વભાવિક છે. જોકે, આમાંનો એક મોટો ફેરફાર ગુજરાતમાં થવાની તૈયારીઓ થઈ ગઈ છે. સૂત્રોની માનીએ તો એના માટેનો તખ્તો પણ તૈયાર કરી દેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું ચર્ચામાં છેકે, 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ તુરંત જ ગુજરાતમાં જંત્રીના દરોમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા જંત્રીમાં મોટા પાયે વધારો કરવામાં આવી શકે છે. જો આવું થશે તો નવી બનનારી તમામ પ્રોપર્ટીઓ મોંઘી થઈ જશે. 


મહત્ત્વનું છેકે, ગયા વર્ષે દિવાળીમાં દરો રિવાઈઝ થવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે કાર્યવાહી સ્થગિત કરી હતી. ગુજરાતમાં જંત્રીના દરોમાં ફેરફાર કરવાની અને સાયન્ટિફિક રીતે રીતે દેરો નક્કી કરવાની કાર્યવાહી ચાલી રહી હતી પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકારે જંત્રીના દરોમાં અત્યાર સુધી કોઈ ફેરફાર કર્યા ન હતા પરંતુ હવે ચૂંટણી પુરી થઇ ચૂકી હોવાથી રિવાઇઝ જંત્રીનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.


સચિવાલયના આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યારે જંત્રીના દરો લાગુ કરવામાં આવ્યા ત્યારે કેટલીક વિસંગતતા જોવા મળી હતી. માર્કેટ રેટ અને જંત્રી રેટના તફાવત દૂર કરવા માટે સાયન્ટિફિક રીતે વેલ્યૂ ઝોનના આધારે સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે દિવાળીના સમયમાં ફેરફાર કરેલી જંત્રીના દરો લાગુ કરવાની વિચારણા હતી પરંતુ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી તે સમયે દરોમાં ફેરફારનો નિર્ણય લેવાયો ન હતો. 


આ પ્રક્રિયામાં સરકારના કેટલાક અધિકારીઓની ટીમ મહારાષ્ટ્ર અને મુંબઈમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેમણે જંત્રીની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. જંત્રીને એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ અને અન્ય જમીન એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલી છે. વેલ્યુએશન થયા પછી જે તે વિસ્તારની જમીનોના ભાવને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવ્યો છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં જંત્રીનું માળખું બદલાવાની તૈયારીમાં છે અને સંભવતઃ ઓગષ્ટ મહિનામાં તેની જાહેરાત થઇ શકે તેમ છે. જંત્રીના નવા પ્લાન પ્રમાણે મહાનગરોમાં વિકસિત વિસ્તારોમાં બજાર ભાવ પ્રમાણે દરો નિયત કરવામાં આવ્યા છે અને વિકાસની ઓછી તકો રહેલી છે તેવા વિસ્તારમાં જંત્રીના દરોમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે.


બીજી તરફ શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ જંત્રીના હાલના દરોમાં ઘટાડો પણ થઈ શકે તેવી સંભાવના છે. જંત્રીના દરોમાં સૌથી મોટો ફેરફાર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં જોવા મળી શકે.