ઝી બ્યૂરો, અમદાવાદઃ કર્ણાટકમાં કારમી હાર બાદ ભાજપ ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે. રાજ્યમાં લોકસભાની 26 સીટોને 5 લાખ મતોથી જીતવાના ટાર્ગેટ સાથે ભાજપ આગામી 30 દિવસોમાં એક અભિયાન ચલાવવા જઈ રહી છે ત્યારે ટાગોર હોલમાં એક એવી ઘટના ઘટી હતી કે, કારોબારી સંગઠનના મહામંત્રી રત્નાકરનો ગુસ્સાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ભાજપની કારોબારી લાઈવ થઈ રહી હતી એ LED સ્ક્રીનમાં એક કેબિનેટ મંત્રી ઉંઘતા ઝડપાયા હતા. જેને પગલે ભારે બબાલ મચી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના ટાગોર હોલમાં ગઈકાલે ભાજપની પ્રદેશ કારોબારી યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિત ભાજપના મોટા નેતાઓ અને ભાજપના કાર્યકો મળી 500 જણા આ બેઠકમાં હાજર હતા. 3 કલાક ચાલેલી આ બેઠકમાં લોકસભાની સીટોને લઈને મહામંથન ચાલ્યું હતું. હોલની અંદરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થઈ રહ્યું હતું. આ દરમિયાન એલઈડી સ્ક્રીનમાં ભાજપના કેબિનેટ મંત્રી ઉંઘતા દેખાડાતાં રત્નાકરે વીડિયોગ્રાફર અને લાઈવ ટેલિકાસ્ટ કરનારનો ઉઘડો લઈ લીધો હતો. 


આ બેઠક એ લોકસભાને લઈને બોલાવેલી બેઠક હતી. જેમાં ભાજપ સરકારના 9 વર્ષની સફળતાને કેવી રીતે લોકો વચ્ચે લઈ જઈને ભાજપનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો એ માટે ચર્ચા થઈ રહી હતી. પ્રદેશ અધ્યક્ષે મોદી સરકારની ઉપલબ્ધીઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે 30મેથી 30મી જૂન સુધી એક મહિનાના કાર્યક્રમ જાહેર કર્યા હતા. બેઠકના સમાપન વેળાએ જ જ્યારે પ્રદેશ મહામંત્રી રત્નાકર લોકસભા બેઠકો અંગેની રૂપરેખા આપી રહ્યાં હતા ત્યારે જ ટીવીની સ્ક્રીન પર કુવરજી બાવળિયા ઉંઘતા દેખાતાં રત્નાકર જબરદસ્ત બગડ્યા હતા. તુમ્હે ઔર કુછ નહીં દીખતા.. યે સબ ક્યા હૈનો બળાપો કાઢ્યો હતો. જેને પગલે ચાલુ બેઠકમાં હોબાળો મચ્યો હતો. 


કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સામાન્ય ચૂંટણીને આડે હજુ સમય છે તેમ છતાં પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક બોલાવીને નેતાઓને સક્રિય થવાનો સંદેશો આપવામાં આવ્યો છે. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર તમામ 26 બેઠકો જીતવા માંગતી નથી, પરંતુ આ બેઠકો પર પાંચ લાખ મતોના વિજય માર્જિનને પણ જાળવી રાખવા માંગે છે. પાર્ટી કારોબારીની બેઠક પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં 30 મેથી 30 જૂન સુધી એક મહિના માટે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.