ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે. બિપરજોય વાવાઝોડાથી તબાહી મચી. ત્યારબાદ પણ સતત વરસાદ, હવે ભર શિયાળા માવઠાની માથાકૂટે જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે. એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોને  ચિંતા થાય તેવું છે. આ ઉપરાંત ફરી વાવાઝોડું પણ આવી શકે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નહીં બેવાર માવઠાની ઘાત
આગાહીકાર અંબાલાલે જે આગાહી કરી છે તે મુજબ ગુજરાતના ખેડૂતો પર માગશરમાં એક નહીં પણ બે વખત માવઠાની ઘાત છે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ પહેલીવાર માવઠું 14થી 18 ડિસેમ્બરે પડી શકે છે જ્યારે બીજીવાર ગુજરાતમાં માવઠું 22થી 23 ડિસેમ્બરની વચ્ચે પડી શકે છે. જો કે આ આગાહી આગાહીકાર અંબાલાલ પટેલની છે, જ્યારે હવામાન વિભાગે આ બાબતે કોઈ સત્તાવાર આગાહી કરેલી નથી. 


ક્યાં કયાં પડી શકે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. જેના કારણે ભેજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા દેશના ઉત્તર ડુંગરાળ વિસ્તારમાં જોવા મળશે. ઉપરાંત પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સબંગાળની ખાડીના ભેજમાં ભળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 ડિસેમ્બરથી લઈને 18 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે. ઉત્તર ભારતના ભાગો, મધ્ય પ્રદેશના વિસ્તારો અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તેમણે તેમણે કહ્યું કે, બીજીવાર ગુજરાતમાં માવઠું 22થી 23 ડિસેમ્બરની વચ્ચે પડી શકે છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 


ફરી વાવાઝોડાની શક્યતા
અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની પણ ચિંતાજનક આગાહી કરી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવવાની શક્યતા છે. વાવાઝોડાનું લો પ્રેશર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થઈ શકે છે.


ઠંડી વિશે પણ તેમણે કહ્યું કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઠંડી જોઈએ તેવી પડી રહી નથી.  તેમણે એમ પણ કહ્યું કે 22 ડિસેમ્બરની આજુબાજુ દેશના ઉત્તર પહાડી વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થશે. ગુજરાતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે માર્ચ મહિનામાં સુધી અલનીનો અસર વર્તાશે અને ઠંડીમાં વધ ઘટ થતી રહેશે.


શું કહેવું છે હવામાન વિભાગનું
બીજી બાજુ રાજ્ય હવામાન ખાતાના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ બુધવારે કહ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. રાજ્યના હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આગામી 24 કલાકમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાશે નહીં જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે. આવતી કાલથી (ગુરુવારથી) ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube