અમદાવાદ : ગુજરાતમાં પાટીદારો માટે અનામતની માગણી કરીને હાર્દિક પટેલે બહુ ટુંકા સમયમાં લોકપ્રિયતા મેળવી હતી. હવે તેણે આ મામલે નવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હવે પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું છે કે તે આર્થિક આધાર પર આપવામાં આવતા અનામતને સ્વીકાર કરે છે. આ સિવાય તેણે પોતાનું આંદોલન પણ બંધ કરવાની પણ ઓફર આપી છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર આર્થિક મુદ્દા પર અનામતને જો કાયદેસર રીતે લાગુ કરશે તો હું મારું આંદોલન બંધ કરી દઈશ. પરંતુ 15 થી 18 ટકા આર્થિક અનામત લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક આધારે બધા સમાજને મળતા અનામતને બંધારણીય દરજ્જો આપવામાં આવે તેવી અમારી માગણી છે.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલે આ પહેલા સરકાર દ્વારા આર્થિક આધારે જાહેર કરાયેલા અનામતનો વિરોધ કર્યો હતો, ત્યારે હવે અચાનક તેણે આ મામલે યુ-ટર્ન લઈ લીધો છે. છેલ્લા કેટલા સમયથી ખાસ ચર્ચામાં ન રહેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરીથી સક્રિય થઈ છે. શનિવારે અમદાવાદમાં પાસના કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં આગામી 25 ઓગસ્ટે થનારા ઉપવાસ આંદોલન વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા હાર્દિક પટેલના 25 ઓગસ્ટથી ચાલુ થનારા ઉપવાસ આંદોલનને પોલીસ મંજૂરી ન મળવા પર હાઈકોર્ટમાં જવા સુધીની ચેતવણી આપી ચૂક્યો છે. 


આગામી 25 તારીખથી પાસ કન્વિનર હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યો છે. ત્યારે આ ઉપવાસ આંદોલનને લઈને રણનીતિ ઘડવા માટે હાર્દિક પટેલના નિવાસ સ્થાને બેઠક યોજાઈ છે. બેઠકમાં તાલુકા અને જિલ્લાના કન્વીનર હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં પાટીદાર આંદોલનના અંદાજે 700 જેટલા અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક આગામી 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે. આ ઉપવાસની તૈયારીના ભાગ રૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...