અતુલ તિવારી/અમદાવાદ: ચીનમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યા બાદ દુનિયાના તમામ દેશો એક્શનમાં આવી ગયા છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ગુરુવારે ચીનમાંથી ભાવનગર આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ પરિવારના સભ્યોનો રિપોર્ટ કરાતા તેમની પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ સંદર્ભે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. હાલ તૈયારીના ભાગરૂપે ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે. દેશમાં કોવિડની સંભવિત લહેરને જોતા એલર્ટ જાહેર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ
IMA સાથે સંકળાયેલા 3.50 લાખ ડોક્ટરો જો કોરોનાંની સંભવિત લહેર આવે તો લડવા તૈયાર હોવાનું આશ્વાસન આપ્યું છે. IMA નાં મીડિયા કોર્ડીનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કોરોના અંગે આપણે સૌ કોઈ અવગત છીએ. કોરોનાને ફરી અટકાવવા આપણે મેળાવડા ટાળવા પડશે, માસ્ક પહેરવું પડશે, કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ બાકી હોય તો લેવા અપીલ કરી છે. એટલું જ નહીં, કોરોનાના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી, તજજ્ઞની સલાહ લેવા અનુરોધ કર્યો છે.


ભારતમાંથી પણ 50 હજાર લોકો કતારમાં ગયા હતા
કતારમાં રમાયેલ ફૂટબોલ વર્લ્ડ કપ અને ત્યાં ઉમટેલી ભીડ અંગે વાત કરતા ડોક્ટર મુકેશ મુકેશ્વરીએ જણાવ્યું કે, ભારતમાંથી પણ 50 હજાર લોકો કતારમાં ગયા હતા. કતારમાં રમાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં જે દેશોએ ભાગ લીધો એમના સમર્થકો લાખોની સંખ્યામાં મેચ જોવા પહોંચ્યા હતા. બ્રાઝિલ, જર્મની, ફ્રાન્સ સહિત આર્જેન્ટિના જેવા દેશોમાં હવે ચીન, અમેરિકા, જાપાન અને કોરિયા બાદ કોરોનાનાં કેસો છેલ્લા કેટલાક સમયથી અચાનક વધ્યા છે, ગઈકાલે કેસોમાં વધારો નોંધાયો છે.


અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શોના આયોજન કરવા અંગે વાત કરતા ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, IMA એ સ્પષ્ટ અનુરોધ કર્યો છે કે કોઈપણ પ્રકારના મેળાવડા ટાળવા જોઈએ. ભીડભાડ નાં થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. આગામી 10 થી 15 દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકવાર ફરી 500 કોરોનાનાં કેસો આવ્યા એટલે કોરોનાની સંભવિત લહેરની સંભાવના સરકાર માટે ચિંતા વધારશે. જો કે હાલ દેશ સારી સ્થિતિમાં છે, ડરવાની જરૂર નથી, પણ સમજદારી બતાવીશું તો ભવિષ્યમાં આવનાર સંકટને અટકાવી શકીશું. 


ભારતમાં થયેલા વેક્સિનેશન અને હર્ડ ઇમ્યુનીટી 
ભારતમાં થયેલા વેક્સિનેશન અને હર્ડ ઇમ્યુનીટી અંગે સવાલ કરતા ડોક્ટર મુકેશ મહેશ્વરીએ કહ્યું કે હાલ જે પ્રમાણે વેક્સિનેશન થયું છે એના કારણે ભારતને સમસ્યા થાય એવું લાગતું નથી. પરંતુ જો વાયરસ મ્યુટેડ થાય તો શું થશે એ કહેવું મુશ્કેલ છે. સમયાંતરે જીનોમ સિકવનસિંગ કરતા રહેવું પડશે. એ સિવાય હર્ડ ઇમ્યુનીટી કેટલો સમય અસરકારક સાબિત થાય છે એ માટે પણ ચકાસણી કરવી જરૂરી છે. આપણે હર્ડ ઇમ્યુનિટીને કારણે અનેકવાર મુસીબતોને ટાળવામાં સફળ રહ્યા છીએ. પરંતુ હાલ એની સ્થિતિ અંગે પણ આપણે ચકાસણી કરવી પડશે.