જેતપુર: માત્ર 700 રૂપિયાની બાબતે મિત્રતાને લજાવતો કિસ્સો જેતપુરમાં બન્યો છે. અહીં એક મિત્ર એ 700 રૂપિયાની ઉઘરાણી કરતા બીજા મિત્રએ નિર્દયતાથી તેની હત્યા કરી નાખી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના જેતપુરમાં કણકીયાં પ્લોટમાં આવેલ જુના રેનબસેરાની અગાસી ઉપરથી એક યુવકની લાશ મળી હતી અને જેતપુર પોલીસ તપાસમાં લાગી હતી. આ મૃતદેહ તાલુકાના થાનગલોલ ગામના રહેવાસી અને મજૂરી કામ કરતા મુકેશ દેવસીભાઈ પરમારની હોવાનું જાણવા મળ્યું હતું. રેન બસેરાની અગાસીમાં લોહીથી લથબથ મૃતદેહનો કબજો લઈને જેતપુર પોલીસે ફોરેન્સિક PM માટે મોકલેલ હતો, મુકેશનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ કે પથ્થર લાગવાથી થયું હોવાનું સામે આવેલ હતું. એક અંદાજ મુજબ મુકેશની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ હતું અને જેતપુર પોલીસ આ તપાસમાં લાગી હતી અને તેના આધારે તેવો એ મુકેશના હત્યારા સુધી પોહોંચી ગયા હતા.


કોણ છે મુકેશ? કોણે કરી મુકેશની હત્યા..
જેતપુર તાલુકાના થાણાગલોલ ગામમાં મુકેશ દેવસીભાઈ પરમાર તેના પરિવાર સાથે રહે છે. તેના ભાઈ અતુલ દેવસી પરમાર સહિતના ભાઈઓ સાથે રહે છે, મુકેશની પત્ની તેના એક દીકરાને લઈને ક્યાંક જતી રહી છે અને મુકેશ એકલવાયું જીવન જીવે છે તે અવારનવાર જેતપુર આવીને તેના મિત્ર સવજી ડાયા બગડા સાથે મજૂરી કામ કરવા આવે છે અને 2-3 દિવસ તે જેતપુરમાં ગમે તે જગ્યાએ રાતવાસો કરી લેતો હતો.


તેના મિત્ર સવજી ડાયા બગડાએ તેને કોઈ કારણોસર માત્ર 700 રૂપિયા આપેલ હતા અને સવજી અવારનવાર આ પૈસાની ઉઘરાણી કરતો હતો અને મુકેશ આ પૈસા આપતો નહોતો. ત્યારે જેતપુરના કણકીયા પ્લોટમાં વોલીબોલ ગ્રાઉન્ડ આવેલ શોપિંગ સેન્ટરની છત ઉપર 700 રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ અને સવજીએ મુકેશને માથામાં પથ્થર મારીને મોતને ઘાટ ઉતર્યો હતો.


સવજી મુકેશની નિર્દય રીતે હત્યા કરીને પછી થાણા ગાલોલ ગામમાં વાત કરવાનું શરૂ કર્યું કે મુકેશ પૈસા નહોતો આપતો એટલે મારી નાખ્યો. મુકેશના ભાઈ અતુલે પોલીસ ફરિયાદમાં પણ સવજીએ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેને લઈને જેતપુર પોલીસે સવજીની ઘરપક્કડ કરીને કડક પૂછપરછ કરતા સવજીએ પોતે હત્યા કરી હોવાની કેફિયત આપી હતી.


શા માટે હત્યા? કોણ છે હત્યારો સવજી ડાયા બગડા.
મૃતક મુકેશ અને સવજી બંને એક જ ગામના હોવા સાથે મિત્ર પણ હતા. બંને એકબીજા સાથે કામ પણ કરતા હતા. 700 રૂપિયા જેવી નાની જરૂરિયાતમાં એક બીજાને મદદ પણ કરતા હતા. જે જોતા બન્ને સારા મિત્રો હતા. મુકેશ જ્યારે સવજીના 700 રૂપિયા પરત ના આપી શક્યો, ત્યારે સવજીને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં જ તેણે મુકેશના માથે પથ્થર મારીને હત્યા કરી નાખી હતી. સવજીના નામે કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. પરંતુ તેણે 700 રૂપિયા જેવી રકમ માટે મિત્રતા લજાવી છે અને મિત્રતાનું મર્ડર કર્યું છે. હાલ તો સવજી મિત્રની હત્યા માટે જેલમાં છે અને કાયદાની ચુંગાલમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube