• આજે અહમદ પટેલની દફનવિધિમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓની હાજરી રહેશે. 

  • રાહુલ ગાંધી પણ દિલ્હીથી ખાસ વિમાનમાં સુરત આવશે. 

  • એરપોર્ટ પર કોંગ્રેસના નેતા, કાર્યકરો હોદ્દેદારોએ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી 


ઝી મીડિયા/બ્યૂરો :વતન પીરામણ ગામમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ (Ahmed Patel) ની દફનવિધિ કરવામાં આવશે. આ માટે પીરામણ ગામ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો સાથે જ સમગ્ર કબ્રસ્તાન કોર્ડન કરાયુ છે. અનેક મહાનુભાવો હાજરી આપવાના હોવાથી વીવીઆઈપી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમની દફનવિધિ સમયે રાહુલ ગાંધીથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ કોણ હાજરી આપશે
આજે અહમદ પટેલની દફનવિધિમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓની હાજરી રહેશે. ગુજરાતનુ સમગ્ર મોવડી મંડળ હાજરી આપશે. તો રાહુલ ગાંધી પણ દિલ્હીથી ખાસ વિમાનમાં સુરત આવશે. સુરતથી બાય રોડ પીરામણ જવા રવાના થશે. જેથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એરપોર્ટ પહોંચ્યા છે. આ ઉપરાંત પૂર્વ સીએમ કમલનાખ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસ આગેવાન આનંદ શર્મા ઉપસ્થિત રહેશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપશે.  


મોડી રાત્રે કોંગ્રેસ નેતા અહમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જેના બાદ એમ્બ્યુલન્સ દ્વારા એરપોર્ટથી અંકલેશ્વર લઈ જવામાં આવ્યો હતો. એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિત કાર્યકરો હોદ્દેદારોએ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તો અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં અહમદ પટેલના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો.