ગાંધીનગરઃ ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક લોકો આ તકલીફના સમયે તાત્કાલિક યોગ્ય સારવાર ન મળવાને કારણે મોતને ભેટી થાય છે. ત્યારે આવી સ્થિતિમાં ગુજરાતના લાખો શિક્ષકોએ એક ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જેનાથી તેઓ આવા અનેક દર્દીઓનો જીવ બચાવી શકશે. ગુજરાતના કુલ ૨.૧૮ લાખ જેટલા શિક્ષકોને ત્રણ તબક્કામાં અપાઈ CPR તાલીમ. પ્રથમ બે તબક્કામાં ૧.૬૪ લાખ જેટલા શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કામાં બાકી રહેલા ૫૩,૮૦૦ જેટલા શિક્ષકોએ CPR તાલીમ લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.૩જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૮૬ હજારથી વધુ શિક્ષકોને, તા. ૧૭મી ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં ૭૭ હજારથી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી રહેલા રાજ્યના ૫૩,૮૦૦થી વધુ શિક્ષકોને CPR તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં કુલ ૨.૧૮ લાખ જેટલા શિક્ષકોને CPR તાલીમ અપાઈ છે.


શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળીને કે.જી થી પી.જી સુધીના ૨.૧૮ લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.


સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે. આવુ ન થવા દેવા માટે આ CPR તાલીમ અત્યંત મહત્વની છે.


ત્રણ તબક્કામાં યોજાયેલી આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાઈ હતી. જેમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાઈ હતી.


CPR વિશે નાગરિકો વધુ જાણકાર થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરાઈ હતી. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું હતું.