જયેશ દોશી/નર્મદા :ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર છે, ત્યારે નર્મદા જિલ્લા પણ તેમાં બાકાત નથી. નર્મદા જિલ્લામાં કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે હાલ કરજણ ડેમમાં પાણીની આવક 102849 ક્યુસેક જેટલી થઈ છે. તેમજ જળ સપાટી 108.79 મીટર પર પહોંચી ગઈ છે. આજે કરજણ ડેમના બે દરવાજા ખોલી 5000 ક્યુસેકથી 20000 ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવશે. જેથી કાંઠા વિસ્તારના લોકોને તંત્રએ સાવધ રહેવા સૂચન કર્યું છે. કરજણ ડેમના નીચણવાળા વિસ્તારમાં આવતા ગામો રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર, ધમણાછાને સાવધ કરાયા છે. ડેમનું પાણી અહીંથી પસાર થઈ નર્મદા નદીમાં જશે. આ સંજોગોમાં કરજણ ડેમના નીચાણવાળા, કરજણ નદી કિનારા, ઉપરવાસ કે આસપાસના રહેવાસીઓને પૂરના પાણીથી સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. 


2015 અને 2017માં જે નદીએ બનાસકાંઠામાં વિનાશ સર્જ્યો હતો, ત્યાં ફરી પાણી આવ્યું 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા જિલ્લામાં બે બંધ આવેલા છે. જેમાં નર્મદા બંધ ગુજરાતની જીવાદોરી છે. તો બીજો બંધ કરજણ બંધ છે, જે ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન છે. કરજણ ડેમમાં બે મહિના પહેલા 35 ટકા પાણી હતું. પરંતુ આ ચોમાસાની સીઝનમાં ડેમના  ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડીયાપાડામાં સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે. જેથી કરજણ ડેમમાં પાણીના નવા નીર આવવાથી હાલ ડેમની સપાટી 108. મીટર પર પહોંચતા ડેમમાં પાણીની આવક દેખાઈ રહી છે. હાલ આ કરજણ ડેમમાં 102849 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે. ડેમનું રુલ લેવલ 108.69 મીટર છે. 


આ ડેમ એટલા એટલા માટે અગત્યનો છે કે, જ્યારે નર્મદા બંધમાંથી પાણી છોડવામાં નથી આવતું, ત્યારે આ ડેમમાંથી પાણી છોડી નર્મદા નદીને બે કાંઠે વહેતી કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષની જેમ જ આ બંધ દ્વારા નર્મદા નદીમાં પણ પાણી છોડી શકાશે અને સિંચાઈ અને પીવાના પાણી માટે પણ આ બંધ ઉપયોગી થઇ પડશે. આજે પાણીના આવકના પગલે કરજણ ડેમના બે જળવિદ્યુત મથકો પણ ચાલુ કરવામાં આવ્યા છે.  


24 કલાકમાં 12.5 ઈંચ વરસાદથી આખું આણંદ જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસ્યા