ઝી ન્યૂઝ/અમદાવાદ: ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને એઆઇસીટીઇના સાથ સહકાર સાથે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ), અમદાવાદે 18 ઓગસ્ટના રોજ ઇડીઆઇઆઈના કેમ્પસમાં 14મી પ્રાદેશિક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ વચ્ચે ઉદ્યોગ સાહસિકતાની ઇકોસિસ્ટમ અને ઇનોવેશનને વેગ આપવાનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ એમ ડિંડોર હતા અને ગેસ્ટ ઓફ ઑનર ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર, આઇએએસ, એમ નાગરાજન હતા. આ એક દિવસ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અને આસપાસની 185 સંસ્થાઓમાં 400થી વધારે લોકો સહભાગી થયા હતા અને 75થી વધારે સ્ટોલમાં તેમના ઇનોવેટિવ સ્ટાર્ટઅપ આઇડિયા પ્રસ્તુત કર્યા હતા.



આ બેઠકમાં એમઆઇસી અને એઆઇસીટીઇની આઇએન્ડઇની પહેલો માટે આઇઆઇસી મોડલ, નીતિગત જાગૃતિ અને હિમાયત પર ગુણવત્તાયુક્ત એચઇઆઇ સહભાગીદારીની અસર અંગે ચર્ચાવિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સહભાગીઓને યુક્તિ-નેશનલ ઇનોવેશન રિપોઝિટરી (એનઆઇઆર)નો પરિચય આપવામાં આવ્યો હતો, જે સંસ્થામાં ઇન્ક્યુબેટ વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ/તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ, ઉદ્યોગસાહસિકો વચ્ચે વિચારો, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સની ઓળખ અને શોધ દ્વારા સંસ્થાઓમાં ઇનોવેશન રિપોઝિટરીના સર્જનની પ્રક્રિયા છે.


કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો અને મહેમાનોને આવકારીને ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, મને ખુશી છે કે, અમે એક સમાજ તરીકે કારકિર્દીનાં અન્ય વિકલ્પોની જેમ ઉદ્યોગસાહસિકતાને સ્થાન અપાવવાના પ્રયાસો શરૂ કર્યો છે. અત્યારે ઉદ્યોગ સાહસિકતા કારકિર્દીનો સ્વાભાવિક વિકલ્પ છે અને વિદ્યાર્થીઓ એક કારકિર્દી તરીકે ઉદ્યોગસાહસિકતાન પસંદગી સાથે આગળ આવી રહ્યાં છે. મને ખુશી છે કે, કેન્દ્રિત પ્રયાસો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરવા થઈ રહ્યાં છે. ઉદ્યોગ સાહસિકતાને પાયાને સ્તરે પહોંચાડવા, ખાસ કરીને યુવા પેઢી વચ્ચે લઈ જવા તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે.



ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડો. કુબેરબાઈ એમ ડિંડોરે કહ્યું હતું કે, આપણે બધા ઉદ્યોગ સાહસિક દેશ શું ચમત્કાર કરી શકે છે એનાથી વાકેફ છીએ અને અમે આ દેશને મહાન ઉદ્યોગ સાહસિક દેશનો દરજ્જો એ સુનિશ્ચિત કરવા આતુર છીએ. ભારત અને ગુજરાત પણ સંસ્થાઓ, નીતિઓ અને રોકાણકારોનો અસરકારક સમન્વય ધરાવે છે. રાજ્ય સરકાર યુવા પેઢીને તેમના વિશિષ્ટ વિચારો સાથે આગળ આવવા પ્રોત્સાહન આપે છે. નવા વિચારોને પ્રોત્સાહન આપવામાં આવે છે તથા આ યુનિકોર્ન્સની વધતી સંખ્યામાં અને દેશમાં સ્ટાર્ટઅપ રેશિયોમાં વધારામાં સ્પષ્ટ જોવા મળે છે.” 


ગેસ્ટ ઓફ ઑનર, ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર, આઇએએસ એમ નાગરાજને કહ્યું હતું કે, આ કામગીરી મોટી છે અને સંસ્થાઓ, નીતિનિર્માતાઓ, નિયમનકારી સંસ્થાઓ અને સમાજને સાતત્યપૂર્ણ પરિણામો મેળવવા સહિયારા પ્રયાસોની જરૂર છે. ઉદ્યોગ સાહસિકતા દેશ માટે વૃદ્ધિનું પ્રેરકબળ છે અને તમામ માધ્યમો દ્વારા એને પ્રોત્સાહન આપવું જોઈએ. આજની યુવા પેઢી નવું સંશોધન કરવામાં મોખરે છે અને નવા નવા વિચારો રજૂ કરે છે. તેમને પ્રોત્સાહન મળવું જોઈએ અને તેમના વિચારોને ખીલવવા જોઈએ. મને એ જણાવવાની ખુશી છે કે, ગુજરાત આ જરૂરિયાતો પૂર્ણ કરવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવે છે.



ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ અને એઆઇસીટીઇના આસિસ્ટન્ટ ઇનોવેશન ડિરેક્ટર દિપાન સાહૂએ કહ્યું હતું કે, “મને એ ઉલ્લેખ કરવાની ખુશી છે કે, આઇઆઇસી પ્રાદેશિક બેઠક શ્રેષ્ઠ વિચારોને પ્રોત્સાહન આપે છે, જે ઉદ્યોગ સાહસિકતાની સાનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા અતિ મદદરૂપ પુરવાર થઈ છે. આઇઆઇસી આ પ્રકારની એક સંસ્થા છે, જે ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રોમાં અનેબલર છે અને અમે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરવા અખિલ ભારતીય સ્તરે સંસ્થાઓ સાથે સંયુક્તપણે કામ કરી રહ્યાં છીએ. હું દેશમાં ઉદ્યોગ સાહસિકતામાં મોટા પાયે વધારો કરવા આતુર છું, જેમાં વધારે યુવાનો તેમના નવીન વિચારો સાથે આગળ આવશે.


આઇહબના સીઇઓ હિરણ્યમય મહંતાએ કહ્યું હતું કે, મેં ગુજરાતમાં શરૂ થયેલી ઇનોવેશન અને સ્ટાર્ટઅપના નીતિનિર્માણની પ્રક્રિયાને જોઈ હતી અને એટલે આ ભૂમિ પર આજે મને બહુ આનંદ થયો છે. છેલ્લાં 6થી 7 વર્ષમાં અસાધારણ વિકાસ થયો છે અને હું ખાતરી સાથે કહી શકું કે, ગુજરાત શ્રેષ્ઠ પગલાંઓ અને રીતો સાથે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અગ્રણી છે. જ્યારે મને આસપાસ વિકાસ જોઈને ખુશી છે, ત્યારે હું ઇનોવેશનનો સમન્વય વધારે રચનાત્મકતા અને શ્રેષ્ઠ પરિણામો માટે મુખ્ય પ્રવાહના શિક્ષણમાં કરવા આતુર છું.



એઆઇસીટીઇ, ભોપાલના સીઆરઓ ડો. સી એસ વર્માએ કહ્યું હતું કે, IICs સંસ્થાઓ, શિક્ષાવિદો, ઉદ્યોગસાહસિકો અને સમાજને એકતાંતણે બાંધવામાં મદદરૂપ કરે છે, જેથી ઉદ્યોગ સાહસિકતાની ઇકોસિસ્ટમને વેગ મળશે. અમે એક અનેબલર તરીકે કાર્યકારી સંસ્થાઓ સાથે પાયાના સ્તરે ઇનોવેશન અને રચનાત્મકતા પર ધખ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ઇનોવેશનનો ઊંચો દર રોજગારીના સર્જન તરફ દોરી જશે, જેની તાતી જરૂર છે.



પ્રાદેશિક બેઠકના ભાગરૂપે એક રાઉન્ડટેબલ બેઠકનું પણ આયોજન થયું હતું, જેમાં પ્રાદેશિક ઇકોસિસ્ટમ અનેબલર્સ સામેલ થયા હતા. ચાર ટેકનિકલ આંતરકાર્ય સત્રોનું આયોજન વિવિધ મુદ્દાઓ પર થયું હતું, જેમાં આઇએન્ડઇ ઇકોસિસ્ટમની રચના અને જાળવણી, આઇએન્ડઇ ઇકોસિસ્ટમ માટે કાર્યયોજનાઓની કલ્પના કરવા અને વિકસાવવા, એચઇઆઇમાં આઇએન્ડઇ ઇકોસિસ્ટમ અને અસરનું મૂલ્યાંકન કરવું તથા આઇપી અને ટેકનોલોજી ટ્રાન્સફર સામેલ હતા. 5 શ્રેષ્ઠ ઇનોવેશન સ્ટોલ્સ અને ક્રિએટિવ પોસ્ટર્સને એવોર્ડ એનાયત થયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube