ગાંધીનગરઃ ગુજરાત માટે રાહતના સમાચાર છે. કોરોના વાયરસ સંક્રમણના કેસ વધ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે નવા કેસનો આંકડો 5 હજાર આસપાસ પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ સતત ઘટી રહ્યો છે. એક સમયે રાજ્યમાં કોરોનાનો આંકડો 14 હજારને પાર થઈ ગયો હતો. કોરોના સંક્રમણને કાબુમાં કરવા માટે રાજ્ય સરકારે 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કર્યું હતું. આ કર્ફ્યૂ દરમિયાન નિયમો લૉકડાઉન જેવા જ કડક બનાવાયા હતા. પરંતુ હવે કેસમાં ઘટાડા બાદ રાજ્ય સરકાર છૂટછાટ આપી શકે છે. આજે રાત સુધીમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના લોકોને મળી શકે છે રાહત
રાજ્ય સરકારે કોરોના સંક્રમણને કાબુમાં કરવા મહાનગરો સહિત કુલ 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કર્યું હતું. આ કર્ફ્યૂનો સમય રાત્રે 8થી સવારે 6 કલાક સુધીનો હતો. પરંતુ દિવસ દરમિયાન પણ જરૂરી વસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી મળી હતી. આ સિવાય અનેક પ્રકારની દુકાનો, શો-રૂમો સહિતની વસ્તુઓ બંધ રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર તેમાં છૂટછાટ આપી શકે છે. 


આ પણ વાંચોઃ વાવાઝોડાથી વલસાડના ખેડૂતોને મોટુ નુકસાન, કેરીના ભાવમાં સીધો 700-800 રૂપિયાનો ઘટાડો થયો


અમુક શહેરોને રાત્રી કર્ફ્યૂમાંથી મળી શકે છે મુક્તિ
રાજ્યમાં અનેક જગ્યાએ પ્રતિબંધો હળવા કરવા તથા ધંધા-રોજગારને છૂટ આપવાની માંગ પણ ઉઠી છે. રાજ્ય સરકાર જે શહેરોમાં કોરોના સંક્રમણ ખુબ ઓછુ થઈ ગયું છે તેવા શહેરોને રાત્રી કર્ફ્યૂમાંથી પણ મુક્તિ આપી શકે છે. આ સાથે મોટાભાગના જે ધંધા-રોજગાર બંધ છે તેને પણ છૂટછાટ મળી શકે છે.


મહાનગરોમાં યથાવત રહી શકે છે રાત્રી કર્ફ્યૂ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં ભલે કેસ ઘટી રહ્યાં હોય પરંતુ કોરોનાનો ખતરો હજુ દૂર થયો નથી. અહીં રાજ્ય સરકાર દિવસ દરમિયાન પ્રતિબંધો હળવા કરી શકે છે. પરંતુ રાત્રી કર્ફ્યૂ યથાવત રાખી શકે છે. અથવા કર્ફ્યૂનો સમય જે રાત્રે 8 કલાકનો છે તેમાં પણ થોડી છૂટછાટ મળી શકે છે. 


આ પણ વાંચોઃ હવે દર્દીઓને આસાનીથી મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન, સરકારે લીધું મોટું પગલું


આ 36 શહેરોમાં લાગૂ છે રાત્રી કર્ફ્યૂ
ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી,  વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના નિયંત્રણો લાગૂ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube