જયદેવ દવે/અંબાજી: સતત ત્રીજા દિવસે પણ અંબાજી સજ્જડ બંધ છે અને વેપારીઓ અને વહીવટી તંત્ર આમને સામને આવી ગયા છે, ઉલ્લેખનીય છે કે અંબાજી ભાદરવી પૂનમનાં મેળાને અનુલક્ષી અંબાજી મેળો પ્લાસ્ટિક મુકત બનાવવા રાજય સરકારે અનુરોધ કરતા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક વાપરતા વહેપારીઓ ઉપર તવાઇ કરી હતી અને વેપારીઓ પાસે રહેલું પ્લાસ્ટિક જપ્ત કરી દંડકિય કાર્યવાહી કરી હતી જેનો વેપારીઓ દ્વારા વિરોધ કરાયો હતો. આ અંગે કલેક્ટરને ફેર વિચારણા કરવા જણાવ્યું હતુ પરંતૂ વહીવટી તંત્ર મક્કમ હતુ અને સામે વેપારીઓ પણ લડી લેવાના મૂડમાં આવી ગયા હતા.


વેપારીઓ દ્વારા વિરોધ કરાતા પોલીસે કર્યો હતો લાઠીચાર્જ
શનિવારે વેપારીઓ દ્રારા અંબાજી બંધ રાખવામાં આવ્યુ હતુ. અને જુદી જૂદી જગ્યા ઉપર ચક્કાજામ કર્યો હતો અને વેપારીઓનું ટોળું વધી જતા પોલીસ દ્વારા બળ પ્રયોગ પણ કરી લાઠીચાર્જ કરી ટોળું વીખેરી નાખ્યું હતુ અને ટ્રાફિક ખુલ્લો મુકાયો હતો આ દરમિયાન 7થી લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  પોલીસ અધિક્ષકનાં કહેવા મુજબ જે લોકો વિડિઓ કે ફોટોમાં તોફાન કરતા દેખાશે તેમની પણ ધરપકડ કરવામાં આવસે આ લોકો ઉપર 11 જેટલી કલમો લગાડી કાર્યવહી કરવામાં આવી છે. અને તેઓને પાલનપુર સબજેલમાં બંધ કરવામાં આવ્યા છે. બીજી બાજુ વેપારીઓ આ 7 લોકોને છોડાવવાના પ્રયાસ કરી રહયા છે,