અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી લીધી છે અને હવે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની તાજપોશીની તૈયારીઓ ચાલી રહી છે. નવી સરકારની શપથવિધિ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મોડી અમદાવાદ પહોંચી ચૂક્યા છે અને પીએમ મોદી અહીંથી સીધા રાજભવન રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિમાં હાજરી આપશે. સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. આ સિવાય જેપી નડ્ડા અને બીએલ સંતોષ પણ અમદાવાદ પહોંચી ચૂક્યા છે. બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટિલ અને હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. 


પીએમ મોદી આજે રાત જ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગર રાજભવન જશે. સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું છે. સોમવારે સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે. 


બીજી બાજુ પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. આમ તો પીએમ મોદી આવતીકાલે આવવાના હતા, પરંતુ આજે મોડીરાત્રે 10 વાગે જ પીએમ મોદી ગુજરાત આવી જશે. ભૂપેન્દ્ર પટેલની સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો કરી શકે છે. 


મહત્વનું છે કે ગઈકાલે ધારાસભ્ય દળની બેઠક થઈ હતી અને ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો.


આમ સર્વાનુમતે ભપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ પાસ કરાયો છે. ત્યારે આવતીકાલે થનારી શપથવિધિમાં પીએમ મોદી ઉપરાંત  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. સાથે જ સાધુ સંતો અને સામાજિક આગેવાનો સહિત 10 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે.