રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના એક બાદ એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી લીલીઝંડી આપી રહ્યાં છે. થોડા દિવસ પહેલા સી પ્લેન, અને આજે ઘોઘા રોરો ફેરી પ્રોજેક્ટને ગુજરાતીઓ માટે ખુલ્લો મૂકશે, જેના બાદ હવે પ્રધાનમંત્રી મોદી (narendra modi) રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ (AIMS hospital) નું ખાતમુહૂર્ત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અન્ય અધિકારીઓની ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે મુખ્ય બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. જેમાં એક છે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ સ્થિત તૈયાર થનાર એઇમ્સ હોસ્પિટલ અને બીજું છે રાજકોટ અમદાવાદ હાઇવે પર હીરાસર ગામ ખાતે બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ. હાલમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મહત્વ પૂર્ણ આ બંન્ને પ્રોજેક્ટ કામ ક્યાં સુધી પહોંચ્યા છે. તે અંગે રિપોર્ટ પ્રેઝન્ટેશન કલેક્ટર રેમ્યા મોહન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. બંન્ને પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થયા બાદ કમ્પાઉન્ડ વોલ કામગીરી શરૂ થઇ ગઈ છે. આ સાથે બંને પ્રોજેક્ટ સંલગ્ન માર્ગ અને મકાન વિભાગને પ્રોજેક્ટ આસપાસ થતા 5 મુખ્ય રોડ અને 2 બ્રિજ કામગીરી ઝડપથી આગળ વધારવા મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે તાકીદે મળેલ બેઠકથી આગામી ટૂંક સમયમાં એઇમ્સ હોસ્પિટલ માટે ખાતમુહૂર્તની તૈયારીઓના એંધાણ જોવાઈ રહ્યા છે. જેનું ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે તેવી પુરી શક્યતા જોવાઇ રહી છે.


આ પણ વાંચો : અમદાવાદીઓ વાંચી લો, રાત્રે આ સમય દરમિયાન જ ફોડી શકશો ફટાકડા, નહિ તો... 


રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ ખાતે 200 એકરની વિશાળ જગ્યામાં 1250 કરોડના ખર્ચે 750 બેડની સુવિધા ધરાવતી આધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ તૈયાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ એઇમ્સ હોસ્પિટલ પ્રોજેકટ ન માત્ર રાજકોટ, પરંતુ રાજકોટની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે.


રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ સુધી જવું પડતું હતું. જેને ધ્યાનમાં રાખી રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને વિદેશ જવા માટે મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ અમદાવાદ હાઇવે પર રાજકોટ થી 27 કિલોમીટર દૂર હીરાસર ગામ ખાતે 1025 હેકટર જમીન પર અંદાજે 570 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેનું વર્ષ 2017માં ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે આગામી 30 માસમાં પૂર્ણ થશે અને એરપોર્ટનું નિર્માણ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રનવે તૈયાર કરવામાં આવશે.


આ પણ વાંચો : 300 મીટરની ઊંડી ખીણ જોઈને તમ્મરિયા આવી જાય, ત્યાં ખાબકી ગુજરાતી યુવકોની કાર