અમદાવાદ: નર્મદા ડેમ પાસે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે. સાથો સાથ આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'વોલ ઓફ યુનિટી'નું પણ લોકાર્પણ કરશે. કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉપર એરફોર્સ દ્વારા રંગબેરંગી કલરો સાથેનો ભવ્ય એર શો પણ યોજવામાં આવશે. ગુજરાત સરકારનાં વિવિધ તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા પાસે જઈ પગે લાગશે. તેમજ સરદારની પ્રતિમાના ચરણસ્પર્શ અને ફૂલ ચઢાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યાર બાદ તેઓ પ્રતિમાના પગથી જ લિફ્ટ દ્વારા સરદાર પટેલની છાતી સુધી પહોંચશે. જે ૧૩૫ મીટરે આવે છે. વડાપ્રધાન ત્યાં વ્યૂઅર્સ ગેલેરીનું નિરીક્ષણ કરશે. 


જો કે વડાપ્રધાન કેવડીયા પહોંચી ગયા બાદ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમજ એરફોર્સ, આર્મી અને પોલીસ બેન્ડની સુરાવલી રેલાવાશે. ઉપરાંત એરફોર્સનાં વિમાનો દ્વારા રંગબેરંગી છતાં દિલધડક એર શો પણ યોજાશે. સ્ટેચ્યુની ઉપરથી હવામાં અદ્ભૂત વાતાવરણ ખડું કરાશે.


આ પ્રસંગે વડાપ્રધાન સરદાર પટેલ મ્યુઝિયમની, ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે. નર્મદાના તટે ૧૭ કિ.મી.માં ૨૩૦ હેક્ટર વિસ્તારમાં દેશ-વિદેશના ફૂલોથી શોભતી નયનરમ્ય ફ્લાવર વેલીનું નિર્માણ પણ અહીં કરાશે જ્યારે મ્યુઝિયમમાં ૪૦ હજાર દસ્તાવેજો, ૨૦૦૦ ફોટા અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ સહેલાણીઓની સરદાર વિશેની જાણકારી મેળવવાની તમન્ના સંતોષાશે.


અત્રે નોંધનીય છે કે ૨૦૧૪ પહેલાં દેશભરમાંથી માટી, લોખંડ ભેગુ કરવાનું શરૃ કરાયુ હતું. હવે આ ભેગી કરાયેલી માટીમાંથી વોલ ઓફ યુનિટી ઉભી કરાઈ છે. તેનું લોકાર્પણ પણ મોદી કરશે. ત્યારબાદ વડાપ્રધાન જાહેર સભાને સંબોધન કરશે. સમગ્ર કાર્યક્રમ અઢીથી ત્રણ કલાક જેટલો સમય ચાલશે.