અતુલ તિવારી/અમદાવાદ :પહેલા વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતા જ રોડ તૂટવા લાગ્યા છે. અમદાવાદમાં રાત્રે પડેલા અડધા ઈંચ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોની હાલત દયનીય બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રે 8 થી 9 દરમ્યાન અમદાવાદ શહેર સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના બાદ વાસણા બેરેજનો 1 ગેટ 1 ફૂટ ખોલાયો હતો. અમદાવાદના સરખેજ, બોપલ, જોધપુર, ટાગોર કન્ટ્રોલ, દુધેશ્વર, મેમકો સહિતના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર સામાન્ય વરસાદમાં પણ કેટલાક વિસ્તારોની હાલત દયનીય બની છે. શાયોના સિટીથી ચાંદલોડિયા તરફ જતા વચ્ચે આવતા ગરનાળામાં ગુરુવારે સવારે પણ પાણી ભરાયેલુ જોવા મળ્યું. હજુ સુધી પાણી કાઢવા માટે તંત્ર તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. 


આ કારણે આજે સવારે અનેક વાહનચાલકો ગરનાળામાં ભરાયેલા પાણીમાંથી વાહન કાઢવા મજબૂર બન્યા હતા. અનેક વાહનચાલકો ગરનાળામાં ભરાયેલું પાણી જોઈને વાહન લઈ પરત ફર્યા, તો અનેક વાહનચાલકોએ કિસ્મત અજમાવી હતી. આ કારણે કેટલાક વાહનચાલકો ભરાયેલા પાણીમાં વાહન લઈ પડ્યા હતા. ગરનાળામાં પાણી ભરાયેલું હોઈ અનેક વાહનચાલકો ગરનાળાની ઉપરની તરફ આવેલા રેલવે ટ્રેક પરથી પોતાના વાહનો પસાર કરાવી રહ્યા છે. જીવના જોખમે વાહનો રેલવે ટ્રેક પરથી લોકો જોખમી રીતે પોતાના વાહનો કુદાવી રહ્યા છે. 



અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. માણેકબાગથી આંબાવાડી તરફ જતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયા હતા. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા બંને તરફનો માર્ગ બ્લોક થયો હતો. આ કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. બે તરફના માર્ગમાંથી હાલ માત્ર એક જ વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ સર્જાઈ છે. 


તો બીજી તરફ, વાડજમાં આવેલા રામાપીરના ટેકરા પાસે આવેલા BRTS કોરિડોરમાં અનેક જગ્યાઓ પર મસમોટા ખાડા પડ્યા છે. ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. આ પરિસ્થિતિમાં પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનો ભય સર્જાયો છે.