રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓ (corona patients) ની ઓટોપ્સી અંગે તબીબો કોઈ ચોક્કસ તારણ પર પહોંચ્યા હોવાનો ડો. કિયાડાએ સ્પષ્ટ ઇનકાર કર્યો. અવલોકન અને નિરીક્ષણના તબક્કા બાદ જ કોઇ નિર્ણય પર આવી શકાશે તેવું તેમનું કહેવું છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા ડો. હેતલ કિયાડાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજકોટ મેડિકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ડોકટર્સ કોઇ તારણ પર પહોંચ્યા હોવાની વાતમાં કોઇ વજૂદ નથી. 


ફેફસાં (lungs) પથ્થર જેવા થઈ જવા, લોહીની નળી જામી જવી, ફાઇબ્રસીસ થવું વગેરે જેવાં તારણો કોરોના દર્દીઓની ઓટોપ્સી કરવાથી બહાર આવ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે, જે વજૂદ વગરના છે. કેમ કે હજુ તો કોરોના સંક્રમિત મૃતદેહોની ઓટોપ્સીની કામગીરી પ્રગતિ હેઠળ છે. એટલે ઓટોપ્સીના તારણો વિશે અત્યારે કંઇ પણ કહેવું ખૂબ વહેલું ગણાશે. હાલ તો ઓટોપ્સીના સંશોધન અંગે અવલોકન અને નિરીક્ષણ ચાલી રહ્યું છે. આ સમયગાળા બાદ જ કોઇ નિષ્કર્ષ પર આવી શકાશે. સંપૂર્ણ સંશોધન પૂરું થયા બાદ જ તજજ્ઞ ડોકટર્સ કોરોના અંગેની સારવારમાં ઓટોપ્સીના અવલોકનમાંથી તારવેલા તથ્યો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૂચવી શકશે. ઓટોપ્સીના સંશોધનની સમાપ્તિ બાદ જ કોઇ તારણ પર આવી શકાશે તેમ ડો. કિયાડાએ વધુમાં જણાવ્યું હતું.