18 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ, જાણો માતાજીને રિઝવવા માટે શેનો ધરાવશો ભોગ?
માતાજીના સ્વરૂપોની પૂજાનું ખાસ મહત્વ છે
અમદાવાદ : માતાના સ્વરૂપોની પૂજાનું ચૈત્ર નવરાત્રિમાં ખાસ મહત્વ છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 18 માર્ચથી થઈ રહી છે જે 25 માર્ચના દિવસે રાવનવમી સુધી ચાલશે. નવરાત્રિ દરમિયાન રોજ માતાજીના એક સ્વરૂપની પૂજા થાય છે અને નવ દિવસ સુધી અલગઅલગ ભોગ ધરાવવામાં આવે છે.
માન્યતા છે કે કે માતાજીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને જો તેમને ભોગ ધરાવવામાં આવે તો એ પ્રસન્ન થાય છે અને પ્રસાદ ધરાવનાર વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.
પહેલો દિવસ : નવરાત્રિનો પહેલો દિવસ માં શૈલપુત્રીનો હોય છે. તેમને ઘીનો ભોગ લગાવવાથી રોગીને કષ્ટમાંથી મુક્તિ મળે છે અને બીમારી દૂર થાય છે.
બીજો દિવસ : બીજો દિવસ માં બ્રહ્મચારિણીનો હોય છે. માતાને સાકરનો ભોગ લગાવીને દાન કરવાથી આયુષ્ય લાંબુ થાય છે.
ત્રીજો દિવસ : ત્રીજો દિવસ માં ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ માતાજીને દૂધ ચડાવીને એનું દાન કરવાથી તમામ દુ:ખમાંથી મુક્તિ મળે છે.
ચોથો દિવસ : ચોથા દિવસે માં કુષ્માંડાની આરાધના થાય છે. આ માતાજીને માલપુવાનો ભોગ લગાવીને એનું દાન કરવું જોઈએ. આ દાન કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
પાંચમો દિવસ : પાંચમો દિવસ સ્કંદમાતાનો છે. માતાને કેળા અને મધનો ભોગ લગાવીને દાન કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે અને ધનની પ્રાપ્તિ થાય છે.
છઠ્ઠો દિવસ : છઠ્ઠા દિવસે માં કાત્યાનીની પૂજા થાય છે. ષષ્ઠી તિથિના પ્રસાદમાં મધનો ઉપયોગ કરવાથી સાધકને સુંદરતા પ્રાપ્ત થાય છે.
સાતમો દિવસ : સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે. માતાને ગોળનો ભોગ લગાવીને ધાન કરવાથી ગરીબી દૂર થઈ જાય છે.
આઠમો દિવસ : અષ્ટમીનો દિવસ મહાગૌરી એટલે કે માતા દુર્ગાને સમર્પિત છે. આ દિવસે માતાને નારિયેળનો ભોગ લગાવીને દાન કરવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
નવમો દિવસ : નવમીના દિવસે સિદ્ધદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતાને અલગઅલગ અનાજનો ભોગ લગાવીને દાન કરવાથી જીવનમાં સુખ-શાંતિ મળે છે.