Parsottam Rupala Controversy : કેન્દ્રમાં ભાજપના સત્તાની સફર ગુજરાતથી શરૂ થઈ હતી. 2014માં ગુજરાત મોડલ અને 2019 માં વિકાસના મુદ્દે ભાજપે લોકસભાની ચૂંટણી લડીને જીતના પરચમ લહેરાવ્યા હતા. ત્યારે 2024 માં ભાજપ શું લાવશે તેવો ચર્ચાતો મુદ્દો હતો. પરંતું 2024 માં જ્ઞાતિવાદની એન્ટ્રી થઈ છે. આખરે ભાજપ પણ કોંગ્રેસની જેમ જ્ઞાતિવાદનું રાજકરણ કરી રહ્યું છે. 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ગુજરાતમાં હવે જ્ઞાતિવાદના શરણે ગઈ છે. જ્યારથી ગુજરાતની લોકસભાની ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે ત્યારથી એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે રૂપાલા, રૂપાલા અને માત્ર રૂપાલા. આ લોકસભાની ચૂંટણીમાં નાગરિકો જ ભૂલાયા છે. પાયાના પ્રશ્નો ભૂલાયા છે, લોકોની સમસ્યા ભૂલાઈ છે. 2024 ની ચૂંટણીમાં નવી કોઈ વાત જ નહિ, પરંતું ઈલેક્શન માત્ર રૂપાલા પર જ નીકળશે તેવુ લાગી રહ્યું છે. તો બીજી તરફ, કોંગ્રેસ સાવ ચૂપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં ભડકો 
લોકસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે ગુજરાતમાં ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે. એક તરફ ભાજપના કાર્યકર્તા ખૂલીને પોતાના જ વિસ્તારના જાહેર કરાયેલા ઉમાદવારોનો વિરોધ કરી રહ્યાં છે. તો બીજી તરફ, પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મૌન સેવી લીધું છે. આ આગમાં અંદરખાને જ કદાવર નેતાઓ ઘી હોમી રહ્યાં છે, જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે તેવુ ચર્ચાય છે. 


મજૂરિયા કાર્યકરોના ખભે બંદૂક મૂકીને લોકસભા જીતવાની લડાઈ, પાટીલની ટકોર કે ધમકી


રૂપાલા, રૂપાલા અને માત્ર રૂપાલા....
2014 અને 2019 માં ગુજરાતમાં 26 સીટ પર ક્લીન સ્વીપ કરનારા ભાજપને આ વખતે આંતરિક વિરોધને પગલે ઉમેદવાર બદલવાની નોબત આવી છે. આંતરિક વિદ્રોહને કારણે પાર્ટીએ વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર તો બદલી દીધા છે. પરંતું પરસોત્તમ રૂપાલાને બદલવાની વાત હવે ભાજપની આબરુ પર આવી છે. ઉમેદવાર બદલે તો ઈજ્જત જાય. નારાજ રાજપૂતોએ ભાજપને ઉમેદવાર બદલવાની ચીમકી આપી છે. ત્યારે હવે તો આ આગ અન્ય રાજ્યોમાં રહેતા રાજપૂતો સુધી ભડકે તેવા અણસાર છે. રૂપાલાની ત્રણ-ત્રણવાર હાથ જોડીને માંગેલી માફીથી પણ કામ નથી ચાલી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે કેમ ભાજપ આ મુદ્દાને આટલું સળગાવવા દે છે. આ પાછળ કયો રાજકીય હેતુ પાર પાડવાનો છે, અથવા રૂપાલા જશે તો કોનો રસ્તો સાફ થશે. જોકે, હાલ વિરોધ જોતા રૂપાલા પોતે જ પોતાનું નામ રંજનબેનની જેમ પરત લઈ લે તો નવાઈ નહિ. 


ગુજરાતમાં વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે


વિકાસ અને નાગરિકોના પ્રશ્નો ભૂલાયા
આ બધામાં સવાલ એ છે કે, શું 30 વર્ષથી શાસન કરતા ગુજરાત ભાજપ પાસે 2024 ની ચૂંટણી લડવા માટે શું રૂપાલા જ એકમાત્ર મુદ્દો છે. શું 2024 ની ગુજરાતીઓ ભૂલાયા છે. ગુજરાતીઓની સમસ્યા ભૂલાઈ છે. પાયાના પ્રશ્નો ભૂલાયા છે. વિકાસ ભૂલાયો છે. શું નેતાઓ આ વખતે વિકાસની વાતો નહિ કરે. જાણે ગુજરાતને અમેરિકાની ટક્કરનો વિકાસ આપી દીધો હોય તેમ સત્તાશીલ સરકાર માત્ર 5 લાખ લીડ અને રૂપાલાની જ વાતો કરી રહી છે. પરંતું લોકોનું શું. પાણીની સમસ્યાનું શું, રોડ રસ્તાઓનુ શું, રસ્તા પર પડતા ખાડાઓનું શું, વારંવાર તૂટી પડતા બ્રિજનું શું, ગુજરાતમાં ચાલતા નકલીના કારોબારનું શું, લોકોના આરોગ્ય સાથે થતા ચેડાંનું શું, વરસાદથી ભરાતા પાણીનું શું. લોકોના આ સળગતા સવાલોનો જવાબ કોણ આપશે. અને શું ગુજરાતની જનતા પણ આ બધા સવાલોને કોરાણે મૂકીને વોટ આપશે.  



રાજપૂત ભાઈઓ, કોઈ ના રાજકીય હાથો ના બને! ગુજરાતના એક રાજાએ ક્ષત્રિયોને કરી ટકોર


કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી 
તો બીજી તરફ, કોંગ્રેસ સાવ બીજા મોરચે યુદ્ધ લડી રહ્યું છે. કારણ કે, પાર્ટીને કેટલીય બેઠકો પર ચૂંટણી લડાવવા માટે ઉમેદવાર જ મળી નથી રહ્યાં છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, એક મહિનો બચ્યો છે, પરંતું કોંગ્રેસના 26 માંથી 7 ઉમેદવાર હજી પણ જાહેર થવાના બાકી છે. પાર્ટીના અનેક કદાવર નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. કારણ કે, તેમની પાસે ફંડ નથી. 


કોંગ્રેસયુક્ત ભાજપ અને મજૂરિયા કાર્યકર્તા
છેલ્લા ચાર વર્ષમાં ધારાસભ્ય, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મળીને કલ 60 હજાર કોંગ્રેસીઓ ભાજપમાં આવયા છે. તેમને મળતા મહત્વથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા છે. તો બીજી તરફ, ભાજપના કાર્યકર્તાઓ પર 5 લીડથી દરેક બેઠક પર જીતવાનું ભારણ છે. કાર્યકર્તાઓ કહી રહ્યાં છે કે, ટિકિટ પોતાની મરજીથી આપે છે, લક્ષ્યાંકનું દબાણ અમારા પર નાંકે છે. અનેક એવા નેતાઓ છે, જેમની જમીની પકડ મજબૂત નથી. ત્યારે કયા મોઢે તેઓ ભાજપ માટે વોટ માંગશે. આ વખતે અનેક ગામડાના લોકોએ પોતાની સમસ્યાઓ દૂર ન થતા ઉમેદવારોનો વિરોધ કર્યો છે. ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે, તો ઉમેદવારોને ગામમાં પ્રચાર પર આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. છતા ભાજપને રૂપાલામાં રસ છે, એવું કેમ. 


રૂપાલાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ... રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ