મૌલિક ધામેચા/અમદાવાદ : પોતાના બળવાખોર વલણને કારણે જાણીતા શંકરસિંહ વાઘેલા હવે NCPમાં જોડાયા છે. આજે તેઓ NCPમાં સત્તાવાર રીતે જોડાયા હતા. આજે ncpનું મહાસંમેલન યોજાયું હતું, જેથી પાર્ટીમાં તેમનું એનસીપીના અધ્યક્ષ શરદ પવાર દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રફુલ પટેલ તથા જયંત બોસ્કી જેવા રાજકીય અગ્રણીઓ પર હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શંકરસિંહે કહ્યું કે, આરબીઆઈ, ઈલેક્શન કમિશન, સીબીઆઈ, સીવીસી, સીએચએનું પણ માલૂમ છે. લોકશાહીનું ગળુ દબાવવવાનું બીજેપીનું જે ષડયંત્ર છે, ત્યારે મને લાગ્યું કે આવી રીતે ઈનએક્ટિવ રહેવું યોગ્ય નથી. ગુજરાતી જનતાએ મને વોટ આપ્યા છે. તેઓએ મને જે પ્રેમ આપ્યો છે, તે પરત આપવા માટે હું એનસીપીમાં આવ્યો છું. આગામી દિવસોમાં હું દેશમાં યુપીએ-3 ટાઈપની એન્ટી-બીજેપી ગર્વમેન્ટ જોઈ રહ્યો છું. તેમાં અમારો રોલ ગુજરાત અને ગુજરાત બહાર જેટલો પણ અમે વધારીશું. ગર્વમેન્ટ ક્રુઅલ, કરપ્ટ છે. દેશની જનતાને પાંચ વર્ષનો જે અનુભવ થયો છે, તેનાથી લોકો કંટાળી ગયા છે. તેઓ ઈચ્છે છે કે સરકાર જતી રહે. ખેડૂત આત્મહત્યા કરે છે. નોટબંધી, જીએસટીથી બિઝનેસ કમ્યુનિટી કંટાળી છે. લોકોને બીજેપીના શાસનમાંથી બચાવવા છે. 


શરદ પવારે શંકર સિંહને પાર્ટીની એપ્લિકેશનમાં સભ્યપદ ભરી પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો. ત્યારે હવે શંકર સિંહ વાઘેલાને નેશનલ જનરલ સેક્રેટરીનો કાર્યભાર સોંપાશે. આ પ્રસંગે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, ગુજરાતમાં સંગઠનની જવાબદારી અમારા સાથીઓ નિભાવી રહ્યા છે. એમના સહયોગમાં હવે શંકરસિંહ જેવા વરિષ્ઠ નેતા અમારી સાથે છે. જેથી હવે અમારા કાર્યકર્તાઓનો જુસ્સો વધશે. ગુજરાતમાં તો તેમનું માર્ગદર્શન મેળવશે જ, પણ રાષ્ટ્રીય સ્તર પર પણ એમનો લાભ મેળવીશું, અને એમણે પણ આ માટે તૈયારી બતાવી છે. ફક્ત રાજ્યમાં નહિ, અન્ય રાજ્યોમાં પણ તેમના જોડાવાથી ફરક પડશે. દેશની સ્થિતિમાં નોન BJP પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો અમારો પ્રયાસ છે. અમે નોન BJP લિડર્સ કોલકાતામાં ભેગા થયા. એક વિકલ્પ તરીકે અમે વાત અને ચર્ચા કરી. નેશનલ લેવલ પર એક ઑલ્ટરનેટિવ આપવાની જવાબદારી અમને લાગે છે. પ્રત્યેક રાજ્યની સ્થિતિ અલગ છે, જેમ કે તામિલનાડુમાં DMKને અમે સપોર્ટ આપીશું.


ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાતા ભાજપ અને કોંગ્રસ બંન્ને પક્ષોને નુકસાન થવાની શક્યતા છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં એનસીપીના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. એ બેઠકમાં જ વાઘેલાનું એનસીપીમાં જોડાવાનું નક્કી થઈ ગયું હતું. બાપુના એનસીપીમાં જોડાવાથી એક રીતે જોઇએ તો, પક્ષને ગુજરાતમાં ફાયદો થશે. અને આમ પણ ગુજરાત એનસીપીમાં શંકરસિંહ વાઘેલા જેવા કોઇ મોટા નેતા નથી, તેથી આવા સંજોગોમાં ગુજરાતમાં પક્ષને મજબૂત કરવામાં સારી એવી મદદ મળી રહેશે. કાર્યકતાઓના સંગઠન પર બાપુની પકડ હોવાથી એનસીપીની તાકાતમાં વધારો થશે. 


સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે કે, શંકરસિંહ લોકસભાની સાબરકાંઠા અથવા ગોધરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કારણ કે આ બંને બેઠકો પર તેમનું સારું એવુ પ્રભુત્વ છે. આ બંને બેઠકો પર શંકરસિંહ વાઘેલા ભાજપ અને કોંગ્રેસ બંનેનું ગણિત બગાડી શકે છે. જો શંકરસિંહ વાઘેલા આ બેઠકો પર ચૂંટણી લડીને જીતે તો સાંસદ બની પક્ષમાં રહી શકે છે. પરંતુ હાલ તો તેમને એનસીપીમાં નેશનલ જનરલ સેક્રેટરીનો કાર્યભાર સોંપાયો છે.