તેજશ મોદી, સુરત: સોખડા સ્વામિનારાયણનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે. જે વિવાદ હવે સુરત સુધી પહોંચી ગયો છે. જેમાં એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કતારગામ વિસ્તારમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વાઢેર પોતાની બાઇક લઇને 14 એપ્રિલે બપોરે બે વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે અજાણ્યા ઇસમે સુરેશને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તને દવે સાહેબે બોલાવ્યો હતો તો તું શા માટે આવ્યો નહીં. આ સાથે સુરેશ વાઢેરને ફોન કરનાર ઈસમે કહ્યું હતું કે, તમે શા માટે ગાળો આપો છો.


સુરેશ વાઢેર સુરતના ઉધના દરવાજા પર પહોંચ્યા, ત્યારે ફરીથી કોઈ અજાણ્યાનો ફોન આવ્યો હતો. અને તેને કહ્યું હતું કે, હું તારી પાછળ છું અને ત્યારબાદ સુરેશ વાઢેરે ફોન કાપી નાખ્યો હતો અને ફરી તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેમને ફોન ઉપાડ્યો નહોતો. સુરેશ વાઢેર ઉધના રોડ નંબર 3 પર બપોરે ત્રણ વાગ્યે શનિ મંદિર નજીક પહોંચ્યો હતો. ત્યારે બાઈક પર આવેલા 2 ઇસમોએ તેમના પર હુમલો કર્યો હતો.


આ ઘટનાને લઇ સુરેશ વાઢેરના હાથમાંથી લોહી નીકળતા આસપાસના રાહદારીઓ તેમની મદદે આવી પહોંચ્યા હતા. બીજી તરફ લોકો એકઠા થઇ જતા હુમલાખોરો બંને ભાગી ગયા હતા. બાઈક પર ભાગતા સમયે હુમલાખોરોએ સુરેશને ધમકી આપી હતી કે, આજે તો બચી ગયો છે પણ બીજી વખત બચીશ નહીં. અમે તને મારી નાખશુ. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈ સુરેશ વાઢેરે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


આ ઘટનાને લઇ પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા. અને પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના સંત ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા બે દિવસ પહેલા સુરતમાં હરિભક્તો સાથે બેઠક કરવામાં આવી હતી. અને ત્યારબાદ પ્રબોધ સ્વામી જૂથના હરિભક્ત પર હુમલો થયો. આમ આ કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube