પ્રશાંત ઢીવરે/સુરત : ડેરીઓમાં ખદબદતો ભ્રષ્ટાચાર હવે બહાર આવી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીએ 3 અધિકારીઓની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી છે. ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કારઈ છે. જેમાં જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ, ડીજીએમ-ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલની તાત્કાલિક હકાલપટ્ટી કરાઈ છે. ડેરીના વહીવટમાં ગેરરીતિને કારણે સુમુલ ડેરીના ત્રણ અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. ત્યારે સુમુલના ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટ કરતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. આ ઘટના સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય ઉચ્ચ અધિકારીઓની વહીવટમાં ગેરરીતિ કરવા માટે સસ્પેન્ડ કરાયા છે. જોકે, ડેરી દ્વારા તેનુ કારણ અપાયુ નથી, પંરતું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ડેરીમાં દૂધ ચોરી થતુ હોવાની ગેરીરિતિને પગલે કેટલાક પુરાવા રજૂ કરાયા હતા. જેમાં આ ત્રણેય અધિકારીઓની સંડોવણી સામે આવી છે. જેથી સુમુલ ડેરીના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ત્રણેય અધિકારીઓની સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રણેય ઉચ્ચ અધિકારીઓ પર દૂધને બારોબાર સગેવગે કરાતુ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, હાલમાં સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડથી વધારેનો વહીવટ થઈ રહ્યો છે. સુમુલ ડેરી સાથે 2.50 લાખથી વધારે પશુપાલકો સંકળાયેલા છે અને ડેરીમાં રોજ 12થી 14 લાખ લીટર જેટલા દુધની આવક થઈ રહી છે.