તેજશ મોદી/સુરત :સુરતના યઝદી કરંજિયાને ભારત સરકારે ‘પદ્મશ્રી’ના  ઈલ્કાબથી નવાજ્યા છે. હાલમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ આપવામાં આવ્યો છે. મહત્વનું છે પદ્મશ્રી દેશનું ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. યઝદી કરંજિયા (Yazdi Karanjia) એ પારસી નાટકો દ્વારા  કરેલી સમાજ સેવા તેના કેન્દ્રમાં છે. તેમણે  ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા સાંઠથી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે, જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઇ છે. તેમનું આખું પારસી પરિવાર (Parsi theater) નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે, આવું કરનારું આ આખરી પરિવાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના નાટકો દ્વારા ભેગી થયેલી રકમ તેમણે સમાજ સેવા માટે વાપરી છે અને તેનો સરવાળો રૂપિયા ત્રણ કરોડથી ઉપર થવા જાય છે. બહેરામની સાસુ, કૂતરાની પૂંછડી વાંકી, અને ઘર ,ઘૂઘરો અને ગોટાળો સહિતના નાટકોથી લોકોને ખુબ હસાવનારા સુરતના નાટ્યકાર યઝદી કરંજિયાને પદ્મશ્રી સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. તેમને કલા ક્ષેત્રમાં પ્રદાન બદલ આ સન્માન એનાયત કરાયો છે. 1937માં વલસાડમાં જન્મેલા યઝદી કરંજિયા પારસી રંગભૂમિનાં જીવનદાતા સન્માન છે. ખ્યાતનામ નાટ્યકાર ચં.ચી. મહેતા સાથે યઝદી કરંજિયાએ 300થી વધુ રેડિયો નાટિકાઓ કરી હતી. યઝદી કરંજિયાનું નાટક બહેરામની સાસુના અનેક શો ગુજરાત ઉપરાંત ભારતના ઘણા શહેરો અને અમેરિકા, સિંગાપોર સહિતના દેશોમાં થઇ ચુક્યા છે. તેઓ નાટકમાંથી જે આવક મળે છે તે પણ સામાજિક કામ માટે દાનમાં આપે છે. તેમના નાટ્ય ગૃરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા સાથે તેમણે ‘તાપીતટે તાપીદાસ’ નામની ૩૦૦થી વધુ હપ્તાવાળી હાસ્ય શ્રેણી આકાશવાણી પર રજુ કરી હતી. તેનું તેમણે પુસ્તક પણ બનાવ્યું છે. 



યઝદી કરંજિયાના પત્ની વીરા કરંજિયા, નાના ભાઈ મહેરનોઝ કરંજિયા, ભાભી પેરીન કરંજિયા, દીકરી મહારુખ ચીચગર, દીકરો શહેનાઝ કરંજિયા તથા ભાઈ રોહિન્ટન કરંજિયા અને ખાસ મિત્ર જાલ લંગડાના સહિતનું તેમનું ‘યઝદી કરંજિયા ગ્રુપ’ સુરતમાં જ નહીં, દેશના તમામ મોટા કેન્દ્રો અને વિદેશોમાં પણ આજીવન નાટ્યપ્રયોગો કરીને લોકોનું મનોરજન કરતાં રહ્યાં છે. ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય અકાદમી, પ્રમાણપત્ર બોર્ડ જેવી સરકારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યઝદીભાઈ વર્ષોથી સંકળાયા છે. તેમના ‘બિચારો બરજોર’, ‘દીનશાજીના ડબ્બા ગુલ’ કે ‘કુતરાની પૂંછડી વાંકી’ જેવાં હાસ્ય નાટકોથી તેઓ વર્ષો વર્ષ પ્રેક્ષકોને હસાવતાં રહ્યાં છે. 


મહત્વનું છે કે વ્યવસાયે તેઓ શિક્ષક છે. કેમ્બે ઇન્સ્ટીટયુટ ઓફ કોમર્સ દ્વારા તેઓ વર્ષોથી કોચિંગ પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક રીતે સંકળાયા છે. તેમના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવ્યું છે, અને આજે પણ તેઓ શિક્ષણ આપી રહ્યાં છે.