સુરત : શહેરમાં એક મહિલા પ્રાધ્યાપિકાએ પોતાના ઘરે પરિવારજનોની ગેરહાજરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સુરત નજીક આવેલા બારડોલીમાં આવેલા માલિબા કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા ફોરમ પાવેજાએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો. મહિલાના આપઘાતના કારણે અઢી વર્ષના બાળકે માતાનો ખોળો ગુમાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. જ્યાં તેના પરિવારે મહિલા અંગે માહિતી આપી હતી. સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં આ મહિલા પ્રાધ્યાપિકાના આપઘાતની ઘટનાએ ચકચાર જગાવી છે. શિક્ષિત અને કોલેજમાં વિદ્યાર્થીઓને સાયન્સ ભણાવતા મહિલાએ પોતાનાં જ ઘરે ગળેફાસો ખાઇને જીવનનો અંત આણી દીધો હતો.


બનાવની વિગતો અનુસાર સુરતના પોશ વિસ્તાર અડાજણમાં આવેલા રાજહંસ પ્લોટોમાં પાવેજા પરિવાર રહે છે. મહિલાના પતિ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફોરમબેન સુરતના અડાજણ વિસ્તારના રાજહંસ ફ્લેટના કોમ્પલેક્ષમાં રહેતા હતા. તેમના લગ્નને 7 વર્ષ પહેલા થયા હોવાનું અને અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરમબેન બારડોલી નજીક માલિબા કોલેજમાં MSC વિભાગનાં પ્રોફેસર હતા. 


ફોરમ પાવેજા આપઘાત પાછળ કથિત બે કારણો સામે આવ્યા છે. તેમના પરિવારના સભ્યોએ મીડિયામાં જણાવ્યું કે, તેમની માનસિક સ્થિતિ ખરાબ હતી અને તેઓ માનસિક તાણનો શિકાર હતા. આજે તેમણે ઘરે ફાંસી ખાઇને આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો. જો કે સુત્રો અનુસાર મહિલાના આપઘાતનું કારણ પારિવારિક ઝગડો હોવાનું માની રહ્યા છે. હાલ તો અડાજણ પોલીસે તમામ પાસાઓ પર તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube