બુધવારની સવારે અમદાવાદમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 મુસાફર ઘાયલ
બુધવારની વહેલી સવારે અમદાવાદ રીંગરોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો.
આશ્કા જાની/અમદાવાદ :બુધવારની વહેલી સવારે અમદાવાદ રીંગરોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો.
આજે વહેલી સવારે 6.20 વાગ્યાની આસપાસ સરખેજ નારોલ હાઈવે પર લક્ઝરી, ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી ટ્રકે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર ક્રોસ કરીને સામેની સાઈડ આવી ગઈ હતી અને લક્ઝરી ટ્રક તથા આઈસર ટેમ્પોને અડફેટે લીધું હતું.
લક્ઝરીના ડ્રાઈવર અનિલ કુમારે જણાવ્યું કે, સવારે 6.20 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. અમારી લક્ઝરી બસ નારોલથી આવી રહી હતી અને ટ્રક નારોલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ટ્રક ડિવાઈડર ક્રોસ કરીને સામે આવી ગઈ હતી. અમારી લક્ઝરી બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 7 લોકો ઘાયલ થયા છે. મને પણ પગમાં વાગ્યું છે.
તમામ ઘાયલોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો અકસ્માતને પગલે નારોલ સરખેજ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રકને ટોઈંગ કરીને ખસેડવામાં આવી હતી. તો સાથે જ ટ્રાફિક પોલીસે વહેલી તકે ટ્રાફિકને દૂર કર્યો હતો.