ઝી બ્યુરો/વડોદરા: રાજ્યમાં કોરોના વાયરસના ભરડો વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 36 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં સોમવારે કોરોનાના કેસોમાં ઉછાળો આવતા નવા 17 કેસો નોંધાયા હતા. જ્યારે કોરોનામાં 120 દિવસ બાદ કોરોનાથી 57 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે છેલ્લા 36 કલાકમાં યુકેથી આવેલા અને ભાયલીના 32 વર્ષના યુવાનનો ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરામાં 120 દિવસ બાદ કોરોના વાયરસથી એકનું મોત થયું છે. કોરોનાથી શ્રી શ્રી રવિશંકરના અંનુયાયી ઋષિ નિત્યપ્રજ્ઞાજીનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,611 ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,882 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે. વડોદરામાં સોમવારે ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો હતો. જોકે, રાહતના સમાચાર એ છે કે સોમવારે ઓમિક્રોનના 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઓમિક્રોનના 5 દર્દીની સારવાર ચાલી રહી છે.


નોંધનીય છે કે વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,611 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9718 પશ્ચિમ ઝોનમાં 12,181, ઉત્તર ઝોનમાં 11,896, દક્ષિણ ઝોનમાં 11,897, વડોદરા ગ્રામ્યમાં 26,818 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.


ઓમિક્રોનના દર્દીઓ સારવાર હેઠળ
વડોદરાના ગેંડા સર્કલ પાસેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 43 વર્ષના એક ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સતત બે દિવસ સુધી આરટીપીસીઆર નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી છે. વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં 29 વર્ષનો પુરુષ, 39 વર્ષનો પુરુષ, 69 અને 68 વર્ષની વયના બે વૃદ્ધ દર્દીઓ ઓમિક્રોનની સારવાર લઇ રહ્યાં છે. તમામની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત યુએસથી આવેલી યુવતીને પણ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેનો પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube