ચિરાગ જોષી/ચાંદોદ :ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી ધાર્મિક વિધિ માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આવામા ગઈકાલે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યાત્રાધામ ચાંદોદ ખાતે ફરજ પરની ગ્રામ રક્ષક દળની મહિલાઓ દ્વારા એક વૃદ્ધનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર વડોદરા જિલ્લામાં મહિલા જવાનની આ પ્રસંશનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિગત અનુસાર, ગઈકાલે અમદાવાદથી એક 60 વર્ષના વૃદ્ધ પોતાના પરિવાર સાથે એક ધાર્મિક વિધિ માટે ચાંદોદ આવ્યા હતા. યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના મલહારરાવ ઘાટ ખાતે સ્નાન કરતી વેળાએ અમદાવાદથી આવેલા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જોતજોતામાં વૃદ્ઘ પાણીના વહેણમાં તણાયા હતા. એ સમયે ફરજ પરની ગ્રામ રક્ષક દળની મહિલાઓ તેમના માટે લાઈફબોટ બનીને આવી હતી.


આ પણ વાંચો : હિમાચલ જવાની ક્યા જરૂર છે, ગુજરાત પાસે છે હિલ સ્ટેશનનો ખજાનો


ગ્રામરક્ષક દળની મીનાબેન તડવી, સુમિત્રાબેન બારિયા સહિત અન્ય મહિલાઓ ફરજ ઉપર તૈનાત હતી. તે દરમિયાન તેમની નજર પાણીમાં ડૂબતા વૃદ્ધ પર પડી હતી. જેથી તમામે વૃદ્ધને બચાવવા માટે નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. મહિલા ગ્રામરક્ષક જવાનોની સમય સૂચકતાને કારણે જ વૃદ્ધનો હાથ પકડીને તેમણે બહાર કાઢ્યા હતા. આમ, અમદાવાદથી આવેલા વૃદ્ધનો જીવ બચી ગયો હતો.


આ પણ વાંચો : સ્વીટી પટેલ મર્ડર કેસ : કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓના પગ નીચે આવ્યો રેલો


સમગ્ર ઘટનાની જાણ યાત્રાધામ ચાંદોદના પી.એસ.આઇ તેમજ જીઆરડી ક્લાર્કને કરાતા તેઓ તત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને વૃદ્ધની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે તેઓ ધાર્મિક વિધિ માટે અમદાવાદથી અહીં આવ્યા હતા. જેથી તેઓના પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. હાલ તો વડોદરા જિલ્લામાં આ ગ્રામ રક્ષક દળની મહિલાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ, વડોદરા એસપી સુધીર દેસાઈ દ્વારા મહિલાઓને તેઓની કરેલી પ્રસંશનીય કામગીરીની નોંધ લેવાય તેવી પણ માંગ ઉઠી છે. 


આ પણ વાંચો : જ્વલ્લે જોવા મળતી ઘટના : રાજકોટ સિવિલમાં સગર્ભાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ