Vadodara Rains: ગુજરાતમાં ધોધમાર વરસાદ પછી હવે મગરોએ આતંક મચાવ્યો છે...ખાસ વડોદરામાં મગરો શહેરમાં ઘૂસીને શિકાર કરી રહ્યા છે. એક યુવકનો મગરે શિકાર કર્યો...તો આ સિવાય અન્ય પ્રાણીઓનો પણ મગર શિકાર કરી રહ્યા છે જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે. વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદી. આ એવી નદી છે જ્યાં સૌથી વધુ મગરો વસવાટ કરે છે. વડોદરા સમગ્ર એશિયા ખંડનું એકમાત્ર એવું શહેર છે જ્યાં સૌથી વધુ મગરો રહે છે. આ મગરો ઘણીવાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે. ખાસ જ્યારે શહેરમાં નદીના પાણી ફરી વળે ત્યારે તો સૌથી વધુ ખતરો આ મગરોથી રહે છે. અત્યારે પણ વડોદરામાં કંઈક આવી જ સ્થિતિ છે. વિશ્વામિત્રીના પાણીએ શહેરમાં જે વિનાશ વેર્યો તેની સાથે મગરોએ પણ આતંક મચાવ્યો છે. મગરો શહેરમાં ઘૂસી દહેશત મચાવી રહ્યા છે. વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી આ મગરોને પકડવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના અનેક વિસ્તારમાં હાલ મગરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરનો એક એવો વિસ્તાર નથી જ્યાં મગરોએ દેખા દીધી ન હોય. 8થી 15 ફુટ સુધીના વિશાળકાય મગરો શહેરમાં આવી ચડતાં લોકો ડરમાં જીવવા માટે મજબૂર બન્યા છે. વાત માત્ર છેલ્લા 4 દિવસની કરીએ તો નાના-મોટા 23 મગરોને પકડવામાં આવ્યા. વન વિભાગની નર્સરીમાં 15થી વધુ મગરને રાખવામાં આવ્યા છે. 30 ઓગસ્ટે વધુ બે મગરને પાંજરે પુરવામાં આવ્યા. હજુ પણ મગરના રેસ્ક્યૂની કામગીરી યથાવત્ છે.


વડોદરામાં 4 દિવસમાં મગર


  • નાના-મોટા 23 મગરોને પકડવામાં આવ્યા

  • વન વિભાગની નર્સરીમાં 15થી વધુ મગરને રખાયા

  • 30 ઓગસ્ટે વધુ બે મગરને પાંજરે પુરાયા

  • હજુ પણ મગરના રેસ્ક્યૂની કામગીરી યથાવત્ 


વડોદરાની ઓળખ પવિત્ર વિશ્વામિત્રી નદી છે. ઋષિ વિશ્વામિત્રના નામથી જાણીતી આ નદીનો એટલો પવિત્ર મહિમા છે કે વિશ્વામિત્ર ઋષિએ આ નદીના ઘાટ પર બેસીને ગાયત્રી મંત્રની રચના કરી હતી. આ નદીની આસપાસ માનવ વસ્તી તો છે જ પરંતુ નદીની અંદર મગરોનું અસ્તિત્વ પણ વડોદરા શહેરની એક ઓળખ છે. એશિયાનું એક માત્ર આ એવું શહેર છે જેને મગરોની નગરી પણ કહેવાય છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. પરંતુ આજે નદીમાં 600થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.


વડોદરામાં મગરોનો ઈતિહાસ


  • એશિયાનું એક માત્ર એવું શહેર જેને મગરોની નગરી કહેવાય છે

  • વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા

  • આજે વિશ્વામિત્રી નદીમાં 600થી વધુ મગરો 

  • વિશ્વામિત્રીની સાથે દેવ, ઢાઢર, વિવિધ તળાવોમાં 1 હજારથી વધુ મગર


શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે. પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનનકાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડાં મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રયસ્થાન, ઈંડાં અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. 


મગરો સાથે જોડાયેલી એક રસપ્રદ વાત કરીએ તો, મગર જ્યારે પાણીમાં ઊતરે ત્યારે તે એની આંખ પર ગ્લેન્સ નાખે છે. જેથી પાણીમાં તેની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. તે પાણીમાં ઉઠતાં તરંગોને આધારે શિકારને શોધે છે...મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. પણ પાણીના કિનારે જમીન પર પણ તે આરામ કરતો રહે છે.


શું છે મગરોની રસપ્રદ વાત?


  • મગર જ્યારે પાણીમાં ઊતરે ત્યારે તે એની આંખ પર ગ્લેન્સ નાંખે છે

  • પાણીમાં તેની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે

  • પાણીમાં ઉઠતાં તરંગોને આધારે શિકારને શોધે છે

  • મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે, નદી કે તળાવ તેના કુદરતી આવાસ

  • પાણીના કિનારે જમીન પર પણ તે આરામ કરતો રહે છે


જ્યારે કોઈ વ્યક્તિ નદી કે તળાવમાં કિનારે બેસીને કપડાં કે વાસણ સાફ કરે ત્યારે પાણીમાં તરંગો ઉઠે છે. તેના કારણે મગરને એવું લાગે છે કે કોઈ શિકાર આવ્યો હસે. આ સંજોગોમાં મગર તરત જ હુમલો કરે છે. આપને એ જણાવી દઈએ કે મગરથી થતાં કોઈ વ્યક્તિના મોત પર સરકાર તરફથી ચાર લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે છે.