અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો પણ કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હિપેટાઇટિસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવેમ્બરમાં ડેન્ગ્યુના 127 કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના 97 કેસ નોંધાયા છે. તો મેલેરિયાના 15 દર્દીઓએ સારવાર લઈ ચૂક્યા છે. બેવડી ઋતુના લીધે રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે. રોગચાળાને નાથવા માટે AMCએ કરોડો રૂપિયાની દવાનો છંટકાવ કર્યો છે. પરંતુ તેના નક્કર પરિણામ મળ્યા નથી. શિયાળાની શરૂઆત બાદ પણ હજુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હીપેટાઈટીસના દર્દીઓનો ભરાવો યથાવત જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને લઈને અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હજુ પણ મચ્છરજન્ય - પાણીજન્ય રોગચાળો યથાવત રહ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હિપેટાઇટિસના દર્દીઓ સતત સિવિલ હોસ્પિટલની OPD માં સારવાર માટે પહોંચી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 127 કેસ નવેમ્બર મહિનાના 17 દિવસમાં નોંધાયા છે, જ્યારે સપ્ટેમ્બરમાં 296, ઓક્ટોબરમાં 327 કેસ નોંધાયા હતા. 


આખરે જેનો ડર હતો તેજ બન્યું! અમદાવાદીઓ માટે હવેનું એક અઠવાડિયું મહત્વપૂર્ણ...


તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ સિવિલમાં ચિકનગુનિયાના 97 કેસ નવેમ્બર મહિનાના 17 દિવસમાં નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં 108, ઓક્ટોબર 168 કેસ હતા. મેલેરિયાના સપ્ટેમ્બરમાં 58, ઓક્ટોબરમાં 36 કેસો નોંધાયા હતા, જ્યારે નવેમ્બર મહિનાના 17 દિવસમાં મેલેરિયાના 15 દર્દીઓએ સારવાર લીધી છે. હિપેટાઇટિસના કેસોમાં નવેમ્બર મહિનામાં 17 દિવસમાં 80 દર્દીઓ નોંધાયા છે, જ્યારે સપ્ટેમ્બરમાં 212, ઓક્ટોબરમાં 217 કેસ નોંધાયા હતા.


અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી સિઝન વીતી ગઈ હોવા છતાં મચ્છરજન્ય કે પાણીજન્ય રોગો પર નિયંત્રણ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. AMC એ કરોડો રૂપિયાની દવાનો છંટકાવ કર્યો પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું છે, શિયાળો શરૂ થઈ જવા છતાંય હજુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હીપેટાઈટીસના દર્દીઓનો ભરાવો યથાવત છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ઘટ્યા બાદ નોન કોવિડ OPDમાં સતત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓની લાંબી લાઈનો યથાવત છે. સિવિલ હોસ્પિટલની નોન કોવિડ OPDમાં 3500 લોકો સારવાર લઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube