આખરે જેનો ડર હતો તેજ બન્યું! અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ કહ્યું- 'હવેનું એક અઠવાડિયું મહત્વપૂર્ણ'

કોરોના વાયરસના હાલ જે કેસ આવી રહ્યા છે, તેમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકોના વધારે છે. જો કે, રાહતની વાત એ છે કે, રસીકરણના લીધે લોકોમાં ગંભીર અસર નથી જોવા મળી રહી.

આખરે જેનો ડર હતો તેજ બન્યું! અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ કહ્યું- 'હવેનું એક અઠવાડિયું મહત્વપૂર્ણ'

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર અલર્ટ થયું છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટ કરાવી શકે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. દિવાળી સમયે જે ભીડ જોવા મળી હતી, તેના કારણે કોરોનાના કેસ વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે હાલ સાચી સાબિત થઈ રહી છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટનું કહેવું છે કે, કોરોનાના કેસ વધ્યા છે પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. હવેનું એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે. કોરોના વાયરસના હાલ જે કેસ આવી રહ્યા છે, તેમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકોના વધારે છે. જો કે, રાહતની વાત એ છે કે, રસીકરણના લીધે લોકોમાં ગંભીર અસર જોવા મળી રહી નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, બીજી બાજુ તંત્ર પણ કેસોને કારણે એલર્ટ છે. શહેરમાં કોરોના વાયરસના કેસને અકુંશમાં લાવવા માટે ટેસ્ટિંગ પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ લોકો સરળતાથી ટેસ્ટિંગ કરાવી શકે એ માટે શહેરમાં ફરી કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા છે.

ફરી એકવાર વધી રહેલા કોરોના કેસ વધતા અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર 1 જ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે અને 4 શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. દિવાળી સમયે જે ભીડ જોવા મળી ત્યારે કોરોનાના કેસો વધશે એવી આશંકા હતી. કોરોનાના કેસો વધ્યા પણ ખરા પરંતુ સ્થિતિ નિયંત્રણમાં છે. 

તેમણે ઉમેર્યું હતું કે, હવે આગામી એક અઠવાડિયું મહત્વપૂર્ણ રહેશે, જે લોકો બહાર ફરીને આવ્યા છે એમનું મોનીટરીંગ જરૂરી રહેશે. જે કેસો પણ અત્યારે આવે છે એવા કિસ્સાઓમાં અન્ય રાજ્યમાં ફરવા ગયેલા અને પરત ફરેલા લોકો વધારે છે. શહેરમાં સારા પ્રમાણમાં વેકસીનેશન થયું છે એટલે હોસ્પિટલાઈઝેશન આ વખતે જોવા મળી રહ્યું નથી, જે સારી વાત છે. સિવિલ હોસ્પિટલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. સિવિલમાં હાલ પણ 200 બેડ અલગથી કોરોના માટે ફાળવવામાં આવ્યા છે. એ સિવાય તમામ જરૂરી દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસમાં 84 કેસો નોંધાયા છે, જેમાં 13 નવેમ્બરે 10, 14 નવેમ્બરે 11, 15 નવેમ્બરે 15, 16 નવેમ્બરે 20, 17 નવેમ્બરે 28 કેસો નોંધાયા છે. શહેરમાં કેસો વધતા AMC ને સતત જુદા જુદા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કન્ટેઈંમેન્ટ ઝોન બનાવવાની ફરજ પડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news