નવનીત દલવાડી/ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ભાવનગર ખાતે આજે ખેડૂતોને મગફળી ન લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. યાર્ડમાં મગફળીનો ભરાવો થઈ ગયો હોવાથી જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ તરફથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી મગફળી ના લાવવા આદેશ કરવામાં આવતા દિવાળી ટાણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ન લાવવા આદેશ
આ વર્ષે સારા વરસાદના કારણે આ વર્ષે મગફળીની સારી આવક થઈ છે, જેને લઇને ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રોજની સેંકડો ગુણી મગફળીની આવક થઈ રહી છે. જેને લઇ માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીનો ભરાવો થયો છે. હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે 25 હજાર ગુણી કરતાં વધુ મગફળીનો ભરાવો થઈ ગયો હોય જેને લઈને માર્કેટિંગ યાર્ડ સત્તા દ્વારા આજથી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ન લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી સૂચના ન મળે ત્યાં સુધી મગફળી નહીં લાવવા આદેશ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 


દિવાળી બાદ લગ્ન ગાળો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
જોકે માર્કેટિંગ યાર્ડમાં મગફળી એટલા પ્રમાણમાં ભરાવો થઈ ગયો છે કે દિવાળી બાદ જ હવે નવી મગફળીની આવક શરૂ થઈ શકશે. ત્યારે આગામી 10 તારીખથી 17 તારીખ સુધી દિવાળીનું વેકેશન હોય ત્યાર બાદ લાભ પાચમથી યાર્ડ શરૂ થવાનું હોય ત્યારે જ નવી મગફળીની આવક શરૂ થશે, જેને લઇ હાલ દિવાળીનું ટાણું હોય ખેડૂતોને રૂપિયાની જરૂર હોય તેમજ દિવાળી બાદ લગ્ન ગાળો આવતો હોય આવા સંજોગોમાં મગફળી ન વેચી શકતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 


દિવાળી બાદ ખેડૂતોને વેઠવું પડશે નુકસાન
ખેડૂતોને દિવાળી ટાણે જ તેમનો આર્થિક મુશ્કેલીમા અટવાઈ જતા તાત્કાલિક મગફળીની નિકાલ કરી આવક શરૂ કરવાની માંગ ઉઠી છે. આ ઉપરાંત હાલ મગફળીના ભાવ પણ 1700 રૂપિયા કરતા વધુ આવી રહ્યા છે જે દિવાળી પછી ભાવ ગગડી જાય તેવી શક્યતા હોય તે નુકસાની પણ ખેડૂતોને વેઠવી પડે તેવું લાગી રહ્યું છે.