• લોકો જો સાવચેતી રાખે તો આ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય તેમ છે. છતા લોકો ફોટો પાડવામાં મશગૂલ થઈ જાય છે, અને આસપાસ શું થઈ રહ્યું છે તેનાથી બેખબર બને છે


સમીર બલોચ/અરવલ્લી :ફોટો પાડતા સમયે ક્યારેક લોકો ક્યાં ઉભા છે, કેવી રીતે ઉભા છે તેનુ ભાન ભૂલી જાય છે. ફોટો પાડવાની લ્હાયમાં એવી ભૂલ કરી બેસે છે કે જીવનું જોખમ થાય છે. ખાસ કરીને હરવાફરવાના સ્થળો, કિલ્લાઓ, પહાડો પર આવી ઘટનાઓ સતત બનતી રહે છે. આવામાં અરવલ્લીના શામળાજીમાં આવેલ એક જૂની વાવમાં ફોટો લેવા જતા મહિલાનું મોત નિપજ્યું છે. મંદિર પરિસરમાં આવેલી વાવ પર ફોટોગ્રાફી કરવા જતા મહિલા લસપી હતી અને નીચે પડતા મોત નિપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના 45 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પોતાના પરિવાર સાથે શામળાજી ગયા હતા. શામળાજી મંદિરના પરિસરમાં પ્રાચીન વાવ આવેલી છે. શિલ્પાબેન પરિસરમાં મોબાઈલથી ફોટોગ્રાફી કરતા હતા. ત્યારે ફોટો પાડવાની લ્હાયમાં તેઓ વાવની કિનાર પાસે ગયા હતા. શિલ્પાબેન વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહીને ફોટો પડાવતા હતા ત્યારે તેમનો પગ લપડ્યો હતો. પગ લપસતાં જ શિલ્પાબેન વાવમાં પડી ગયા હતા. તેમની સાથેની મહિલાએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ શિલ્પાબેન સીધા નીચે પટકાયા હતા. ત્યારે માથામાં ઇજા થવાથી શિલ્પાબેનનું મોત નિપજ્યું હતું. 



મંદિર પરિસરમાં આવેલી વાવ ચારે બાજુથી ખુલ્લી હોવાને પગલે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે શામળાજી પોલીસે આ મોત અંગે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, લોકો જો સાવચેતી રાખે તો આ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય તેમ છે. છતા લોકો ફોટો પાડવામાં મશગૂલ થઈ જાય છે, અને આસપાસ શું થઈ રહ્યું છે તેનાથી બેખબર બને છે.