નવી દિલ્હીઃ ભારતની આઝાદી માટે જે સન્નારીઓએ લડત આપી તેમાં મેડમ કામાનું નામ મોખરે છે. 24 સપ્ટેમ્બર, 1861ના દિવસે મુંબઈના પારસી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. પિતા સોરાબજી પટેલ પ્રતિષ્ઠિત વેપારી હતા. તેઓ પ્રખર દેશભક્ત હતા. તેમના નવ સંતાનોમાં કામા લાડલી દીકરી હતા. મેડમ કામાને તેઓ ‘મુન્ની’ કહીને બોલાવતા. કામાને એલેક્ઝાન્ડ્રા પારસી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા. કામા હંમેશા દરેક વિષયમાં પ્રથમ ક્રમાંકે આવતા હતા. ભણવાની એટલી તાલાવેલી હતી કે જ્યાં સુધી શાળાનું હોમવર્ક પૂરું ન થાય ત્યાં સુધી જમવા પણ ન બેસતા ન હતા. તેમની તેજસ્વિતાને કારણે બધા શિક્ષકોના તે લાડકા વિદ્યાર્થિની બની ગયા હતા. તેમણે અનેક ભાષાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. બાળપણથી જ દેશભક્તિના સંસ્કારથી કામા ઓતપ્રોત હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે જેવા ક્રાંતિકારીઓની કથાઓ તેમને રોમાંચિત કરી મૂકતી હતી. તેમને પણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાની અદમ્ય ઇચ્છા હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે ભિકાજી કામાને લાગ્યું હવે ટૂંક સમયમાં આઝાદીનું સપનું પૂરું થશે. તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે તેમાં ઝંપલાવ્યું. ભિખાજીએ આઝાદીની લડતમાં મહિલાઓને સંગઠિત કરવાનું બીડું ઝડપ્યું. ભિખાજીના તેજાબી ભાષણોથી તેઓ બધાને આકર્ષિત કરતા હતા. પિતાજી ઇચ્છતા હતા કે દીકરી લગ્ન કરીને ઠરીઠામ થાય. રુસ્તમ કામા નામના એક સંપન્ન યુવાન સાથે ભિખાજીનાં લગ્ન થયાં. પતિ સામાજિક કાર્યકર્તા હોવા ઉપરાંત પાશ્ર્ચાત્ય સંસ્કારોથી રંગાયેલા હતા. તે અંગ્રેજ શાસનનો ચાહક હતા. આ બાજુ ભિખાજીની નજરે અંગ્રેજો ભારતનું શોષણ કરનાર રાક્ષસો હતા. તેઓ ભણેલા ગણેલા હોવા છતાં દગાબાજ અને નીતિ વગરના હતા.


આ જોઈ અંગ્રેજોના અંધભક્ત એમના પતિ ‚સ્તમે પત્ની ભિખાજીને ચેતવણી આપી કે તે સ્વતંત્રતાની લડતથી દૂર રહે. પતિનાં બંધનો અને નારાજગીની પત્ની ભિખાજી પર કોઈ અસર થઈ નહીં. તેમને મન અંગ્રેજોની ગુલામીમાંથી ભારત માતાની મુક્તિ એ જ સર્વોપરી ભક્તિ હતી.


આ અરસામાં મુંબઈમાં પ્લેગનો ભયાનક રોગ ફેલાયો. લોકો ટપોટપ મરવા લાગ્યા. મેડમ કામા દર્દીઓની સેવામાં લાગી ગયાં. દર્દીઓની સેવા કરતાં તેઓ પણ રોગનો શિકાર બન્યાં. છેવટે તબિયત થોડી સુધરી પણ શરીરમાં અશક્તિ રહી ગઈ. મિત્રો અને સગાંઓએ તેમને હવાફેર કરવા માટે વિદેશ જવાની સલાહ આપી. એ સમયે લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા. દાદાભાઈ નવરોજી તે સમયે ભારતના અગ્રણી સ્વતંત્ર સેનાની હતા.


આ પણ વાંચોઃ International Left Handers Day 2022: શું તમે પણ ડાબોડી છો? જાણો લેફ્ટ હેન્ડર્સની રસપ્રદ વાતો  


મેડમ કામાએ તેમના અંગત સચિવ તરીકે કામ કર્યું. મેડમ કામા ભારત પરત ફરવાનો વિચાર કરતાં હતાં ત્યાં તેમની મુલાકાત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઈ. તેમની ઓજસ્વી વાણીથી મેડમ કામા પ્રભાવિત થયાં. મેડમ કામા પણ ક્રાંતિકારી બની ગયાં અને તેજસ્વી ભાષણો આપવા લાગ્યાં. તેમનાથી નારાજ થઈને અંગ્રેજ અધિકારીઓએ સૂચના આપી કે તેઓ ભારત પાછાં ચાલ્યાં જાય પણ મેડમ કામાએ ચેતવણીની કોઈ પરવા કરી નહીં. ભારતમાંથી અંગ્રેજોને હટાવવા વિશ્વના બીજા દેશોનું પણ ધ્યાન દોરવું જોઈએ. તેમ તેઓ માનતાં હતા.


1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટેની ગતિ તેજ કરી દીધી. તેમના પર ભારે પ્રતિબંધો લાદવામાં આવ્યા. યુદ્ધ પૂરું થતાં તેમના પરના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા. કામા ફરીથી પેરિસ પાછાં ફર્યાં અને રાજકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ બની ગયાં. આખા વિશ્વમાં રહેતા ભારતીયો અને ભારતની આઝાદી માટે લડનારા લાખો લોકો તેમનું માર્ગદર્શન મેળવતા. આ સમયે તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. સતત દોડધામ અને સંઘર્ષભરી જિંદગીને લીધે તેમની તબિયત કથળવા લાગી. તેમની ઉમર પણ 70ની વય વટાવી ગઈ હતી. તેમની ઇચ્છા હતી કે જીવનના અંતિમ દિવસો ભારતમાતાના ખોળામાં વીતે. તે માટે તેમણે અંગ્રેજ સરકારની અનુમતિ માંગી. પરંતુ અંગ્રેજ સરકારે શરત મૂકી કે જો કામા ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી દૂર રહે તો જ ભારત પરત ફરી શકે. તેમને તો ભારત આવવું હતું. મિત્રોનો આગ્રહ પણ હતો. તેમણે શરત સ્વીકારી અને પરત ભારત આવ્યાં. 35 વર્ષ ભારતમાં અને 35 વર્ષ વિદેશમાં ગાળી જ્યારે તેઓ ભારત પરત આવવા નીકળ્યાં ત્યારે રસ્તામાં જ બીમાર પડી ગયા હતા.


1935માં મુંબઈ પહોંચ્યાં ત્યારે તેમને સીધા પેટીટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. સતત આઠ મહિના સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાધા બાદ 13 ઓગસ્ટ 1937ના દિવસે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી.તેમના મૃત્યુનાં અગિયાર વરસ પછી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. દેશ માટે જીવન જીવી ક્રાંતિની મશાલને સતત પ્રજ્વલિત રાખનાર મેડમ ભિખાજી કામા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનાં અમર નાયક બની ગયાં. જય હિંદ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube