નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી રેસ્ક્યુ ટીમે આ વાતને સમર્થન આપી દીધુ છે. આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનોને તેની સૂચના આપી દેવાઈ છે. તમામ 13 લોકોના મૃતદેહો મેળવી લેવાયા છે અને તેમને લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ 15 સભ્યોની રેસ્ક્યુ ટીમ ગુરુવારે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચી હતી. કાટમાળની તપાસમાં ક્રુ મેમ્બર્સમાંથી કોઈ પણ સભ્ય જીવિત ન મળ્યો. મળતી માહિતી મુજબ દુર્ઘટનાસ્થળેથી તમામ 13 લોકોના મૃતદેહો અને એએન32 વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. મૃતદેહોને અરુણાચલ પ્રદેશથી લાવવા માટે હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરાશે. આ અગાઉ વિમાનના કાટમાળ સુધી પહોંચવા માટે બુધવારે એક 15 સભ્યોની ખાસ ટીમને હેલિડ્રોપ કરાઈ હતી. આ ટુકડીમાં એરફોર્સ, આર્મીના જવાનો અને પર્વતારોહકો સામેલ હતાં. 


રેસ્ક્યુ ટીમને પહેલા એરલિફ્ટ કરીને કાટમાળ પાસે લઈ જવાઈ અને ત્યારબાદ તેમને હેલિડ્રોપ કરાયા. આ અગાઉ મંગળવારે ભારતીય વાયુસેનાને ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ અરુણાચલના સિયાંગ જિલ્લામાં જોવા મળ્યો હતો. દુર્ઘટનાવાળો વિસ્તાર ખુબ ઊંચાઈએ અને ગાઢ જંગલો વચ્ચે છે. આવામાં વિમાનના કાટમાળ સુધી પહોંચવાનું કામ ખુબ પડકારભર્યુ હતું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...