નવી દિલ્હી: એક બાજુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. બીજી બાજુ ઠેર ઠેર પોતાની ગૃહસ્થી ઠેલા અને ખભે સાઈકલો પર લાદીને મજૂરો પરિવાર સાથે ધરભેગા થવા નીકળી પડ્યા છે. પરંતુ આવામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. જેમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતોમાં 16 જેટલા પ્રવાસી શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. અનેક લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ અકસ્માતોમાં 16ના મોત
પંજાબથી પગપાળા બિહાર જઈ રહેલા મજૂરોમાંથી 6 લોકો મુઝફ્ફરનગરમાં પર બસ ફરી વળી. મધરાતે મધ્ય પ્રદેશના ગુનામાં એક બસ અને ટ્રકની ટક્કરમાં લગભગ 8 મજૂરોએ જીવ ગુમાવ્યાં. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બધા મૃતકો મહારાષ્ટ્રથી નીકળ્યા હતાં અને યુપી પોતાના ગામ જઈ રહ્યાં હતાં. અન્ય એક અકસ્માત બિહારના સમસ્તીપુરમાં થયો જ્યાં પ્રવાસી મજૂરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 2 મજૂરોના મોત થયા જ્યારે 12 જેટલા લોકો ઘાયલ થયા. 


અત્યંત દર્દનાક...મજૂરો જે ટ્રકમાં વતન પાછા ફરી રહ્યાં તેની બસ સાથે ભયાનક ટક્કર, 8ના મોત 50 ઘાયલ


પૂરી-સબજી ખાતા હતાં અને મળ્યું મોત
હાઈવે પર વિખરાયેલા પૂરી સબજી મજૂરોની બદકિસ્મત સ્થિતિ દર્શાવી રહ્યાં છે. પંજાબથી પગપાળા જઈ રહેલા મજૂરોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમને ડગ તેમને મોત નજીક લઈ જઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર થયેલા દર્દનાક અકસ્માતમાં ટ્રેક પર રોટીઓ વિખરાયેલી હતી તો અહીં પૂરી સબજી. હાલ જો કે મળતી માહિતી મુજબ રોડવેઝ બસના ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે. રાજવીર નામનો આ ડ્રાઈવર ફિરોઝાબાદના સુહાગનગરનો રહીશ છે. 


UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત


2-2 લાખની સહાયની જાહેરાત
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર શોક વ્યક્ત કરતા મૃતકોના પરિજનોને 2-2 લાખના વળતરની જાહેરાત કરી છે. સીએમ યોગીએ ઘાયલોને 50-50 હજારની આર્થિક મદદની પણ જાહેરાત કરી છે. મૃતદેહોને બિહાર મોકલવાની વ્યવસ્થા થઈ રહી છે. આ અકસ્માત યુપીના મુઝફ્ફરનગર-સહારનપુર હાઈવે પર ઘટી હતી. પંજાબથી પગપાળા બિહાર પોતાના ગામ જઈ રહેલા 6 મજૂરોને પૂરપાટ ઝડપે આવતી બસે ચગદી નાખ્યા હતાં. ઘટનાસ્થળે જ મજૂરોના મોત થઈ ગયાં. ઘટના ઘલૌલી ચેક પોસ્ટ અને રોહાના ટોલ પ્લાઝાની છે. 


બધુ લૂટાવીને નીકળી પડ્યા પણ મળી રહ્યું છે મોત
લોકડાઉનના 50 દિવસ થઈ ચૂક્યા છે. કામ ધંધા બંધ છે. પૈસા છે નહીં અથવા તો ખતમ થવાના આરે છે. શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની સામે રહેવા અને ખાવા પીવાનું મોટું સંકટ છે. કોરોનાથી બચી પણ જાઓ તો ભૂખેથી મરો એવી સ્થિતિ તેમના માટે પેદા થઈ છે. જેને કારણે સેંકડો અને હજારો કિમી દૂર પોતાના ઘરો માટે યેનકેન પ્રકારે તેઓ નીકળી રહ્યાં છે. જેમાં અનેક લોકો આવી પરિસ્થિતિમાં પણ મજૂરોને છેતરી રહ્યાં હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube