નવી દિલ્હી : હમીરપુરમાં મહિલા ધારાસભ્ય મંદિરમાં પૂજા કરવા ગયા અને જાણે વિવાદ ખડો થયો. ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં ભાજપના ધારાસભ્યના મંદિરના પ્રવેશને લઇને બબાલ મચી છે. મંદિરમાં પૂજા, દર્શન કરીને ગયા બાદ ગંગાજળથી મંદિરને પવિત્ર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વિકાસખંટ રાઠાના મુસ્કરા ખુર્દ ગામમાં ઘ્રૂમ ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં એમની પવિત્ર પ્રતિમા લાગી છે, માન્યતા અનુસાર અહીં મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં મહિલાઓના પ્રવેશબંધીની પરંપરાને ધારાસભ્ય મનીષા અનુરાગીએ તોડી હતી. જેને લઇને ગામલોકો અને પૂજારીએ મંદિરને ગંગાજળથી શુધ્ધિકરણ કર્યું હતું. રાઠ કોતવાલી વિસ્તારનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે અને મુસ્કરા ખુર્દ ગામમાં બનેલો આ આશ્રમ પણ પ્રાચીન હોવાનું કહેવાય છે. 


કહેવાય છે કે, અહીંથી પસાર થતાં પાંડવો પણ અહીં આવ્યા હતા અને રોકાયા હતા ત્યારથી આ આશ્રમમાં મહિલાઓ પર પ્રતિબંધ છે. ગત 12 જુલાઇએ રાઠા વિધાનસભા વિસ્તારના ભાજપના મહિલા ધારાસભ્ય મનીષા અનુરાગી એક સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીં આવ્યા હતા. આ દરમિયાન તેઓ આશ્રમ આવ્યા હતા ઘ્રૂમ ઋષિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. 


ગ્રામજનોએ મહિલા ધારાસભ્યને મંદિરમાં જોયા તો હડકંપ મચી ગયો હતો. જેને પગલે મંદિર અને આશ્રમને ગંગાજળથી ધોઇ પવિત્ર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ગ્રામજનોએ ફાળો ઉઘરાવી ઘ્રૂમ ઋષિની પ્રતિમાને અલ્હાબાદના સંગમમાં સ્નાન કરાવીને ફરીથી સ્થાપિત કરી. 


આ મામલે ધારાસભ્ય મનીષા અનુરાગીએ કહ્યું કે, આ માન્યતા અંગે એમને કોઇ જાણકારી ન હતી. તેમણે કહ્યું કે, એમને જ્યારે આ પ્રાચીન મંદિર અંગે જાણકારી મળી તો તેઓ પૂજા પાઠ માટે અહીં આવ્યા હતા. એમના ગયા બાદ મંદિરને ગંગાજળથી ધોઇ પવિત્ર કરવામાં આવ્યું છે. એ પણ એમને ખબર નથી. સુપ્રીમ કોર્ટે દેશના મંદિરોમાં મહિલાઓના પ્રવેશને લઇને કડક વલણ અપનાવ્યું છે. આમ છતાં લોકોમાં હજુ માનસિકતા બદલાઇ નથી રહી.