લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સીએમ યોગી આદિત્યનાથે  (CM Yogi Adityanath) લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની જાહેરાત કરી છે. જૌનપુરની ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં બહેન-દીકરીઓની ઈજ્જત સાથે ખેલનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ અલાહાબાદ હાઈકોર્ટે પણ ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તનને ગેરકાયદેસર ગણાવ્યું હતું. ત્યારબાદ હવે ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ(Love Jihad) કરનારા પર 'યોગી એટેક'ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM યોગીએ લવ જેહાદ કરનારાઓને આપી કડક ચેતવણી
પોતાના કડક અંદાજ માટે જાણીતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે રાજ્યમાં લવ જેહાદ કરનારાઓને કડક ચેતવણી આપી છે. જૌનપરુની ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં બહેન દીકરીઓની ઈજ્જત સાથે રમત રમનારાઓને પહોંચી વળવા જલદી નવો કાયદો લાવવામાં આવશે. ભોળી છોકરીઓને જાણી જોઈને પોતાની જાળમાં ફસાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


 સીએમના એલાનથી યુપીમાં રાજકારણ ગરમાયું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આ જાહેરાત બાદ હવે યુપીમાં રાજકારણ ગરમાયું છે. અયોધ્યા મામલે સુન્ની વક્ફ બોર્ડની પેરવી કરી ચૂકેલા ઝફરયાબ જિલાનીએ કહ્યું કે અસલ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે યોગી આદિત્યનાથ આવી વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અસલ મુદ્દો રોટી અને બેરોજગારી છે. તે જનતા સામે ન આવે એટલે તેઓ પોતાનો અને મીડિયાનો સમય બરબાદ કરે છે.


કાયદાથી કોઈ સમુદાયને નુકસાન પહોંચે તો તે યોગ્ય નથી-ઉમર ઈલિયાસી
ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના અધ્યક્ષ ઉમર અહેમદ ઈલિયાસીએ  કહ્યું કે યુપી સરકારના કાયદાથી જો કોઈ સમુદાયને નુકસાન થાય તો તે યોગ્ય નથી. જબરદસ્તીથી ધર્મ પરિવર્તનની ઈસ્લામ મંજૂરી આપતો નથી પરંતુ જો કોઈ પોતાની મરજીથી ઈસ્લામ અપનાવે તો ઈસ્લામ તેની મંજૂરી આપે છે. 


હાથરસ પીડિતાને ન્યાય અપાવત તો સારું હોત- રણદીપ સૂરજેવાલા
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પટણામાં પ્રચાર કરતા કહ્યું કે સીએમ યોગી જો લવ જેહાદ પર કાયદો બનાવવાની જગ્યાએ હાથરસમાં પીડિતાની સાથે થયેલા અત્યાચાર પર ન્યાય અપાવત તો વધુ સારું હોત. ત્યારે આખું યુપી તેમનો આભાર માનત. આખરે તે પીડિતા સાથે ન્યાય ક્યારે થશે. 


RSSએ સીએમ યોગીનું કર્યું સમર્થન
આ બાજુ સીએમ યોગને RSSનું સમર્થન મળ્યું છે. RSS નેતા ઈન્દ્રેશકુમારે કહ્યું કે ભારત એક લોકશાહી અને ધર્મનિરપેક્ષ દેશ છે. લવ જેહાદ પર કોર્ટે પણ કહ્યું છે કે માસૂમ છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને દગાથી ધર્મ પરિવર્તન કરાવવાનું દબાણ સર્જી નિકાહ કરનારાથી સમાજમાં હિંસા વધે છે આથી કાયદો જરૂરી છે. 


ધર્મ પરિવર્તન કરનારા પર થશે કડક કાર્યવાહી
યુપીના લઘુમતી કલ્યાણ વિભાગ મંત્રી મોહસિન રઝાએ કહ્યું કે પ્રદેશમાં ભોળા છોકરા છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાની ઘટનાઓ વધી રહી છે. આ જોતા સીએમ યોગીએ લવ જેહાદ પર કડક કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. આ કાયદામાં કડક જોગવાઈઓ લાવીને આવા કામોમાં લાગેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 


અલાહાબાદ હાઈકોર્ટે લગ્ન માટે ધર્મ પરિવર્તનને ગેરકાયદેસર ગણાવ્યું
અત્રે જણાવવાનું કે આ અગાઉ 29 સપ્ટેમ્બરે અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું તે  કાયદેસર નથી. આ કેસમાં હિન્દુ છોકરીએ ધર્મ બદલીને મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતાં. સવાલ હતો કે હિન્દુ છોકરી ધર્મ બદલીને મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી શકે છે અને આ લગ્ન કાયદેસર ગણાશે. કુરાનની હદીસોનો હવાલો આપતા કોર્ટે કહ્યું કે ઈસ્લામ અંગે જાણ્યા વગર અને આસ્થા વિશ્વાસ વગર ધર્મ બદલવો સ્વીકાર્ય નથી.