પટણા: ભારતમાં ચૂંટણી અભિયાનને એક નવો વળાંક આપનારા પ્રશાંત કિશોર અંગે એવા અહેવાલો આવી રહ્યાં છે કે તેઓ જેડીયુમાં જોડાયા છે. મુખ્યમંત્રી નીતિશકુમારની હાજરીમાં પ્રશાંત કિશોરે જેડીયુનું સભ્યપદ લીધુ. સૂત્રોનું કહેવું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ચૂંટણી લડી શકે છે. 41 વર્ષના પ્રશાંત કિશોર 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ, બિહારમાં 2015ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન અને 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રણનીતિકાર તરીકે કામ કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બાદ એક સતત પ્રશાંત કિશોરના અભિયાનોને અને પાર્ટીઓને સફળતા મળી. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે પ્રશાંત કિશોરની દેશમાં પોલિટિકલ પંડિત તરીકે ગણતરી થવા લાગી. અત્રે જણાવવાનું કે 2014માં તેમના અભિયાન ચાય પે ચર્ચા અને થ્રી ડી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી. 


આજની તારીખમાં રાજકારણમાં રસ ધરાવતો દરેક વ્યક્તિ જાણે છે કે પ્રશાંત કિશોર કોણ છે. તેઓ મૂળ બિહારના જ છે. એક મધ્યમવર્ગીય પરિવારમાં 1977માં જન્મેલા પ્રશાંત કિશોરના પિતા ડોક્ટર છે અને રિટાયર થયા બાદ બક્સરમાં જ અંગત ક્લિનિક ચલાવે છે. 



મળતી માહિતી મુજબ કિશોર એમબીએ કે માર્કેટિંગ એક્સપર્ટ નથી. મોદીના સંપર્કમાં આવતા પહેલા રાજકારણ સાથે તેમને કોઈ લેવાદેવા નહતું. તેઓ સયુંક્ત રાષ્ટ્રમાં જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞ તરીકે કામ કરી રહ્યાં હતાં. ત્યાં હતાં ત્યારે ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, અને કર્ણાટક જેવા વિક્સિત રાજ્યોમાં કુપોષણની સમસ્યા પર એક રિસર્ચ પેપર તૈયાર કરીને ભારત સરકારને મોકલ્યું હતું. 


દિલ્હીમાં બેઠેલા સ્વાસ્થ્ય મંત્રાલયોના બ્યુરોક્રેટે તેને સંબંધિત રાજ્ય સરકારોને મોકલી દીધા. તે રિસર્ચ પેપરને જોયા બાદ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશાંતનો સંપર્ક કર્યો અને તેમને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું. ડિસેમ્બર 2014માં પ્રશાંતે મોદીને છોડી નીતિશની મદદ કરવાની શરૂ કરી. પ્રશાંત કિશોર સાબિત કરવાનું હતું કે 2014ની ચૂંટણીમાં મોદીની પ્રચંડ જીત પાછળ પ્રશાંત કિશોરની રણનીતિ જ કારગર હતી. 


નીતિશકુમાર પર મોદીના ડીએનએવાળા નિવેદન બાદ લોકોના ડીએનએ સેમ્પલ જમા કરીને મોદીને મોકલવાનો ખુબ ચર્ચિત આઈડિયા પણ પ્રશાંત કિશોરનો જ હતો. જનતા નીતિશની દરેક વાત પહોંચાડવા માટે તેમને ચોપાલ પર ચર્ચા, પર્ચે પર ચર્ચા, હર ઘર દસ્તક, નીતિશકુમાર પર કોમિક્સ મુન્ના સે નીતિશ અને મોદીના ડીએનએવાળા નિવેદન વિરુદ્ધ શબ્દ વાપસી આંદોલન જેવા કાર્યક્રમો ચલાવ્યાં. બિહારના ભણેલા ગણેલા અને ઈન્ટરનેટ સેવી લોકો માટે પણ આસ્ક નીતિશ જેવા હાઈટેક કાર્યક્રમ ચલાવવામાં આવ્યાં. તેમણે બિહારમાં નીતિશકુમાર અંગે બિહારમેં બહાર હો નીતિશકુમાર હો જેવા અભિયાનો દ્વારા જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 



પ્રશાંત કિશોરે પટણાથી હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો. ઈન્ટરમીડિએટનો અભ્યાસ તેમણે પટણાની પ્રતિષ્ઠિત સાયન્સ કોલેજથી કર્યો. તેમને બે ભાઈ અને બે બહેન છે. ગુવાહાટીના જાહ્નવી દાસ સાથે લગ્ન કર્યાં જે વ્યવસાયે ડોક્ટર છે અને બંનેને એક પુત્ર પણ છે. જો કે પ્રશાંત કિશોરે ક્યારેય જાહેરમાં પોતાની પર્સનલ લાઈફની ચર્ચા કરી નથી. 


ઈન્ટરમીડિએટ બાદ પ્રશાંતે હૈદરાબાદની એક કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આફ્રીકામાં યુએન હેલ્થ એક્સપર્ટ તરીકે કામ કર્યું. નોકરી છોડીને 2011માં ભારત પાછા ફર્યા અને પાંચ વર્ષ સુધી ચૂંટણી રણનીતિકારની ભૂમિકા ભજવ્યાં બાદ હવે પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત કરી.