ઝી બ્યુરો/અમદાવાદ: આખો દેશ જ્યાં દિવાળીની તૈયારીઓમાં મગ્ન છે, ત્યાં અયોધ્યામાં શનિવારના દીપોત્સવ માટે અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. સરયુના ઘાટ રોશનીના ઐતિહાસિક ઝગમગાટ માટે તૈયાર છે. અયોધ્યામાં અત્યાર સુધીના સૌથી ભવ્ય દીપોત્સવને આડે હવે અમુક જ કલાકોની વાર છે. શનિવારે સાંજે સરયુ નદીના 51 ઘાટ 24 લાખ દીવડાના પ્રકાશથી ઝગમગી ઉઠશે. ઘાટ પર લાખોની સંખ્યામાં દીવડા ગોઠવી દેવાયા છે. હવે શનિવારે સવારથી દિવામાં તેલ પૂરવાનું કામ શરૂ કરાશે, એક દિવામાં 24 મિલીલીટર તેલના હિસાબે કુલ એક લાખ લીટર સરસવના તેલનો ઉપયોગ થશે.. દિવાને ચોરસ બોક્સમાં ગોઠવવામાં આવ્યા છે, જેથી તેમની ગણતરીમાં સરળતા રહે દિવડાની ગોઠવણી અલગ અલગ ડિઝાઈનમાં પણ કરવામાં આવી છે, જેના કારણે દીવડા જ્યારે પ્રજવલિત થશે, ત્યારે તેનો દેખાવ અત્યંત આકર્ષક બની રહેશે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો સરયુ નદીના ઘાટ પર 21 લાખ દીવડા પ્રજવલિત કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાવાનો છે, પણ એક સમયે એક સાથે 21 લાખ દિવા પ્રજવલિત જોઈ શકાય તે માટે સરયુના 51 ઘાટ પર કુલ 24 લાખ દીવા પ્રજવલિત કરાશે, જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે. આ સમગ્ર કવાયતમાં 25 હજાર જેટલા વોલન્ટિયર્સ જોડાયેલા છે. એક સમય સૌથી વધુ દીવડા પ્રજવલિત કરવાનો રેકોર્ડ અત્યારે ઉજ્જૈનના નામે છે, જ્યાં છેલ્લા બે વર્ષથી મહાશિવરાત્રિ પર 18 લાખ 82 હજાર દીવડા પ્રજવલિત કરાય છે. જો કે હવે આ રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે.



    
સરયૂના ઘાટ ઉપરાંત સમગ્ર અયોધ્યા નગરીને રોશનીથી શણગારવામાં આવી છે. શહેરના માર્ગો, ઘાટ, કુંડ, મઠ અને મંદિરો પર રંગબેરંગી લાઈટિંગનો ઝગમગાટ જોઈ શકાય છે. દીપોત્સવ દરમિયાન હર કી પૈડીમાં લેઝર શોનું પણ આયોજન કરાયું છે, વિશ્વની સૌથી મોટી સ્ક્રીન પર સાઉન્ડ અને લેઝર શોમાં આખી રામાયણનું પ્રદર્શન કરાશે. સરયુની જલધારામાં વોટર લાઈટિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. સરયુના ઘાટને અલગ અલગ પ્રરારના હજારો કિલો ફૂલોથી સજાવવામાં આવ્યા છે. દીપોત્સવમાં જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઝલક જોવા મળશે. આ માટે બે દિવસ સુધી રિહર્સલ કરવામાં આવ્યું છે.


 



દીપોત્સવ દરમિયાન રામલીલા પણ યોજાશે, જેમાં 22 રાજ્યોના 1500 લોકકલાકારો તેમજ રશિયા, શ્રીલંકા, નેપાળ અને સિંગાપુરના 300 કલાકારો ભાગ લેશે. રામાયણની પરંપરા પર આધારિત લોક ઝાંખીઓનું પણ આયોજન કરાશે. વૈશ્વિક કક્ષાના કાર્યક્રમને જોતાં અયોધ્યામાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. NSGને પણ સુરક્ષા માટે ઉતારવામાં આવી છે. સીસીટીવી સર્વેલન્સથી સમગ્ર શહેર પર નજર રાખવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને તેમને દીપોત્સવમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન યોગી ભાવુક પણ થયા. તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન અયોધ્યામાં આ સાતમો દીપોત્સવ યોજાઈ રહ્યો છે.



દેશ વિદેશના લોકો પોતાના ઘરે બેઠાં જ દીપોત્સવમાં ભાગ લઈ શકે, તે માટે પણ યુપી સરકારે અલગ તૈયારીઓ કરી છે. વ્યક્તિ પોતાના ઘરે બેઠાં જ દીપદાન કરી શકે છે. આ માટે યુપીના પર્યટન વિભાગે હોલી અયોધ્યા નામનું મોબાઈલ એપ તૈયાર કર્યું છે. GFXIN આ એપના માધ્યમથી વ્યક્તિ ગમે તેટલી સંખ્યામાં દીપકનું દાન કરી શકે છે. અયોધ્યા જિલ્લાનું વહીવટી તંત્ર એપના માધ્યમથી લોકોની રિકવેસ્ટ મેળવશે અને માગ પ્રમાણેના દીવડા પ્રજવલિત કરશે. આ માટે વ્યક્તિએ નિર્ધારિત રકમ ચૂકવવાની રહેશે. દીપોત્સવ બાદ આવા લોકોને સરયૂ નદીનું પાણી અને દીપોત્સવનો પ્રસાદ તેમના ઘરે મોકલવામાં આવશે.


અયોધ્યાના દીપોત્સવથી બે મહિના બાદ રામ મંદિરના થનારા લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે સૌની નજર હવે શનિવારે રાત સુધી અયોધ્યા પર રહેશે.