નવી દિલ્લી: હોળીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઈ જાય છે, જે હોલિકા દહન સુધી ચાલે છે. માન્યતાઓ અનુસાર હોળાષ્ટક દરમિયાન કોઈપણ માંગલિક કાર્ય કરી શકાતા નથી. આથી હોળીના 8 દિવસ પહેલાં તમામ સારા કાર્યો પર રોક લાગી જાય છે. એવું માનવામાં આવે છેકે હોળાષ્ટકના સમયે એટલે કે હોળીના 8 દિવસ પહેલા સુધી બધા ગ્રહોનો સ્વભાવ ઉગ્ર રહે છે. શુભ કાર્યો માટે ગ્રહોની આ સ્થિતિ સારા માનવામાં આવતી નથી. માન્યતાઓ અનુસાર આ સમયમાં કરવામાં આવેલા તમામ શુભ કાર્યોનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ક્યારથી શરૂ થાય છે હોળાષ્ટક:
હોળાષ્ટક ફાગણ શુક્લ અષ્ટમી તિથિ સવારે 2: 56 કલાકથી શરૂ થઈ જશે. હોલિકા દહન 17 માર્ચના રોજ કરવામાં આવશે અને હોળાષ્ટકનો અંત પણ તે દિવસની સાથે થઈ જશે. માન્યતા છે કે હોળાષ્ટકમાં કરવામાં આવેલા સારા કાર્યોનું પૂર્ણ ફળ મળતું નથી. આ વખતે હોળાષ્ટક 10 માર્ચથી શરૂ થાય છે.


કેમ અશુભ હોય છે હોળાષ્ટકનો સમય:
હિંદુ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ હોળાષ્ટક દરમિયાન કોઈ માંગલિક કામ કરે છે તો તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં વ્યક્તિના જીવનમાં ઝઘડો, બીમારી અને અકાળ મૃત્યુનો ખતરો વધી જાય છે. આથી હોળાષ્ટકના સમયને શુભ માનવામાં આવતો નથી.


હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા:
હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં'. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. તેણે સ્વર્ગ અને પૃથ્વિ પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.


હોળી રમતાં રાધા કૃષ્ણ અને ગોપ-ગોપીઓ:
આ દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો પુત્ર પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેણે ઇશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી. જેના કારણે હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ. જયારે પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. ત્યારબાદ ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે. જેમાં વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.


હોળાષ્ટકને લઈને બીજી પૌરાણિક કથા:
કહેવામાં આવે છે કે હોળાષ્ટકના દિવસે ભગવાન શિવે કામદેવને ભસ્મ કરી દીધા હતા. કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે મહાદેવ ક્રોધિત થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાના ત્રીજા નેત્રથી કામ દેવતાને ભસ્મ કરી દીધા હતા. જોકે કામદેવે ખોટા ઈરાદાથી ભગવાન શિવની તપસ્યા ભંગ કરી ન હતી. કામદેવના મૃત્યુ વિશે જ્યારે માહિતી મળે છે ત્યારે આખું દેવલોક શોકમાં ડૂબી જાય છે. તેના પછી કામદેવની પત્ની રતિએ ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી અને પોતાના મૃત પતિને પાછા લાવવાની મનોકામના માગી. જેના પછી ભગવાન શિવે કામદેવને પુનર્જિવિત કરી દીધા હતા.


વિવિધ વિસ્તારમાં કેવી રીતે ઉજવવામાં આવે છે ધૂળેટી:
વૃજની ધૂળેટી આખી દુનિયામાં જાણીતી છે. અહીંયા ધૂળેટીનું પર્વ આખો મહિનો ચાલે છે. બરસાનાની લઠમાર હોળી બહુ જાણીતી છે. મધ્ય પ્રદેશના માલવા અંચલમાં હોળીના પાંચમા દિવસે રંગપંચમી રમવામાં આવે છે. તો મહારાષ્ટ્રમાં લોકો રંગ પંચમીના દિવસે એકબીજાને સૂકા ગુલાલ લગાવીને ઉજવણી કરે છે.