કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર બુધવારે મતદાન થયું. આ ચૂંટણીમાં 72.67 ટકા મતદાન થયું. આ અગાઉ 2018માં વિધાનસભા ચૂંટણીમાં 72.1 ટકા, 2013માં 71.83 ટકા અને 2008ની વિધાનસભા ચૂંટણીમાં 64.84 ટકા મત પડ્યા હતા. જો કે આ વખતે મતદાનની પેટર્ન વર્ષ 2008માં થયેલી વિધાનસભા ચૂંટણી જેવી રહી છે.  2008ની વિધાનસભા ચૂંટણી, એ ચૂંટણી હતી જેમાં કર્ણાટકમાં ભાજપે અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સમયે ભાજપને રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ 110 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 28 બેઠકો પર જીત મળી હતી. એટલે કે કર્ણાટકમાં ગત વખતે જ્યારે 70 ટકા મત પડ્યા હતા ત્યારે ભાજપે ચૂંટણીમાં પોતાનું સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. આથી આ વાતને તેઓ પોતાના માટે એક શુભ સંકેત માની શકે છે અને અહીં એ વાત પણ  ખુબ મહત્વપૂર્ણ છે કે જ્યારે કોઈ રાજ્યમાં ગત ચૂંટણીની સરખામણીમાં ઓછું મતદાન થાય તો તેના બે કારણ હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલું- મતદારોમાં સરકાર બદલવાનો ઉત્સાહ ઓછો હોય છે. 
બીજુ- ઓછા મતદાનની ટકાવારીમાં ચૂંટણીના પરિણામ બહુ વધુ અપ્રત્યાશિત હોતા નથી. હવે એ જાણો કે આ વખતે કર્ણાટકમાં કિંગ કોણ બનશે. 


એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ
તમામ સર્વે એજન્સીઓ અને ન્યૂઝ એજન્સીઓએ મળીને આ એક્ઝિટ પોલ કર્યાં છે. તેમાં હજારો સંખ્યામાં  મતદાન કરીને બહાર નિકળેલા લોકોનો મત જાણવામાં આવ્યો છે. કર્ણાટક ચૂંટણીનું પરિણામ 13 મેએ જાહેર થશે. ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ઘણા સમય સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. તમે પણ જાણો શું કહી રહ્યાં છે એક્ઝિટ પોલના આંકડા... 


Zee Karnataka Exit Poll: કોંગ્રેસની બનશે સરકાર
Karnataka Exit Poll: ઝી ન્યૂઝ અને મૈટરાઇઝ એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. કોંગ્રેસને 103-118 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 79-94 સીટ મળી શકે છે. અન્યના ખાતામાં 2-5 સીટો જઈ શકે છે. 


TV9 Bharatvarsh Karnataka Exit Poll: કોઈને બહુમત નહીં
Karnataka Exit Poll 2023: ટીવી-9 ભારત વર્ષના એક્ઝિટ પોલમાં કર્ણાટકમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી. પરંતુ કોંગ્રેસને વધુ સીટો મળી રહી છે. ભાજપને 88-98, કોંગ્રેસને 99-109 સીટો મળી રહી છે. જ્યારે જેડીએસના ખાતામાં 21-26 સીટો તથા અન્યના ખાતામાં 0-4 સીટો આવી રહી છે. 


ABP-Cvoter: કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી
એબીપી-સી વોટરના સર્વે પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની શકે છે. એબીપી-સી વોટર પ્રમાણે કોંગ્રેસને 100-112 સીટો મળી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 83-95 સીટો મળી શકે છે. તો જેડીએસને 21-29 અને અન્યના ખાતામાં 2-6 સીટો આવી શકે છે. 


ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાઃ કોંગ્રેસને સ્પષ્ટ બહુમત
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ પાર્ટીની સરકાર બની રહી છે. કોંગ્રેસને 122થી 140 સીટ મળી શકે છે. તો ભાજપે 62થી 80 સીટોમાં સંતોષ કરવો પડી શકે છે. જ્યારે જેડીએસના ખાતામાં 20-25 સીટો આવી શકે છે. અન્યને 0-3 સીટો મળવાનું અનુમાન છે. 


ચાણક્યઃ કોંગ્રેસને મળશે બહુમતી
ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસને 120 સીટ મળી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 92 તથા જેડીએસને 12 સીટ મળી શકે છે. 


જુદા જુદા એક્ઝિટ પોલના આંકડા જોઈએ તો કોંગ્રેસ બાજી મારતી જોવા મળે છે. છેલ્લા 38 વર્ષથી ટ્રેન્ડ છે કે સત્તાધારી પાર્ટી બીજીવાર સત્તા પર આવતી નથી. આ સાથે જૂના આંકડા ઉપર પણ નજર ફેરવીએ. 2018માં ભાજપને સૌથી વધુ 104, કોંગ્રેસને 78, જેડીએસને 37 બેઠકો મળી હતી. તે સમયે ભાજપનો વોટશેર કોંગ્રેસ કરતા 2 ટકા ઓછો રહ્યો હતો. 2018માં ભાજપને 36.2 ટકા, કોંગ્રેસને 38 ટકા અને જેડીએસને 18.3 ટકા મત મળ્યા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસનો વોટશેર ઘણો વધી શકે છે. કોંગ્રેસ પાર્ટી અને ભાજપના વોટશેરમાં 2 ટકાનું અંતર વધીને 8 ટકા સુધી પહોંચી શકે છે. આ એક મોટી વાત કહી શકાય. 


કયા મુદ્દાઓ પર લડાઈ ચૂંટણી
કર્ણાટકમાં આ વખતે ચૂંટણી બજરંગ દળ અને બજરંગબલી પર કેન્દ્રીત થઈ ગઈ હતી. એક્ઝિટ પોલનું અનુમાન કહે છે કે કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનો જે વાયદો આપ્યો હતો તેનાથી તેને ખુબ લાભ થયો અને તેઓ મુસ્લિમ તૃષ્ટિકરણ કરીને મુસલમાનોના મત લેવામાં સફળ થયા. પરંતુ ભાજપે બજરંગબલીનો જે મુદ્દો બનાવ્યો તેનો તેમને ચૂંટણીમાં વધુ ફાયદો થયો નહીં. કર્ણાટકમાં આ વખતે મુસલમાનોએ એકજૂથ થઈને કોંગ્રેસને મત આપ્યો હોય તેવું જણાય છે. 


લિંગાયતના મતનો ફાયદો કોને?
એક્ઝિટ પોલમાં ભાજપને લિંગાયત સમુદાયના આ વખતે 64 ટકા મત જતા જણાય છે. આ મતમાં કોઈ ફેરફાર થયો જણાતો નથી. જ્યારે કોંગ્રેસને આ વખતે લિંગાયતના 20 ટકા મત મળ્યાનું અનુમાન છે. ગત વખત ક રરતા 4 ટકા મત વધુ મળવાનો અંદાજો છે. એટલે કે કોંગ્રેસે મુસ્લિમ અનામતને બહાલ કરવાનું વચન આપ્યું. પરંતુ આમ છતાં તેને લિંગાયત સમુદાયના પહેલા કરતા વધુ મત મળ્યા છે. જ્યારે ભજાપે મુસ્લિમ અનામતને સમાપ્ત કરીને તેનો એક હિસ્સો લિંગાયતને આપ્યો છતાં તેમને મતમાં કોઈ ફાયદો થયો નહીં. 


કોંગ્રેસને દલિતોના પણ સૌથી વધુ મત મળ્યા હોવાનું અનુમાન છે. ગત વખતે દલિતોના 46 ટકા મત મળ્યા હતા પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં 60 ટકા મત મળ્યાનું અનુમાન છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટીની આ જીત પાછળ યુવા મતદારો પણ મોટું કારણ હોવાનું મનાય છે. એક્ઝિટ પોલનું એવું પણ અનુમાન છે કે આ વખતે કર્ણાટકના ખેડૂતો, મજૂરો, બેરોજગારો, ગૃહિણીઓના પણ મત કોંગ્રેસને મળ્યા છે. 


કોંગ્રેસના વાયદાથી જનતા પ્રભાવિત થઈ?
કોંગ્રેસ પાર્ટીને મહિલાઓ અને બેરોજગારોના મત એટલા માટે મળી રહ્યા છે કારણ કે તેણે ચૂંટણીમાં વચન આપ્યું હતું કે તેઓ સરકારમાં આવશે તો પરિવારની એક મહિલાને પ્રતિ માસ બે હજાર રૂપિયા અને બેરોજગાર યુવાઓને 3 હજાર રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપશે. એક્ઝિટ પોલમાં એ વાત પણ સામે આવી છે કે કર્ણાટકમાં જે પરિવારોની માસિક આવક મહિને 20 હજારથી ઓછી છે તે લોકોએ કોંગ્રેસને વધુ મત આપ્યા છે. 


એક્ઝિટ પોલના કેટલાક પોઈન્ટ સમજીએ તો તમને કર્ણાટકની આખી વાર્તા સમજમાં આવી જશે. હવે આ એક્ઝિટ પોલ જો આંકડામાં ફેરવાય તો પાંચ મોટા અર્થ નીકળી શકે છે. 


1. કર્ણાટકની જીત એ રાહુલ ગાંધી માટે પુર્નજીવન સાબિત થશે. 


2. આ જીત કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે માટે સંજીવનીનું કામ કરશે અને તેઓ આ જીતથી પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી શકશે કારણ કે કર્ણાટક તેમનું ગૃહ રાજ્ય છે અને અહીં તેમનું બધુ દાવ પર લાગેલુ હતું. આવામાં જો કોંગ્રેસ જીતી જાય તો 80 વર્ષના મલ્લિકાર્જૂન ખડગે પોતાને સાબિત કરવામાં સફળ રહેશે. 


3. આ જીત કોંગ્રેસ પાર્ટીમાં સોનિયા ગાંધીના મહત્વને વધુ વધારશે. 2019ની લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર સોનિયા ગાંદીએ કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચારક ર્યો અને તેનો કોંગ્રેસને ફાયદો થયો. 


4. આ જીત લોકસભા ચૂંટણી ઉપર પણ અસર કરશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાં 28માંથી 25 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રસને એક સીટ પર જીત મળ હતી. પરંતુ જો આ વખતે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતે તો તેની 2024ની લોકસભા ચૂંટણી પર અસર પડી શકે છે. 


5. ભારત હજુ કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યું નથી. કોંગ્રેસે થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશમાં ભાજપને હરાવ્યું અને હવે કર્ણાટકમાં પણ તેમની સરકાર બની શકે છે. આ દેશના ચાર રાજ્યોમાં તેમની પૂર્ણ બહુમતની સરકાર બનશે. આ ચાર રાજ્યો છે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને હવે કર્ણાટકમાં પણ બની શકે છે.