નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ હાઉસની લીઝ સમાપ્ત કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટ આજે મહત્વની સુનાવણી હાથ ધરશે. જસ્ટિસ સુનીલ ગોરની પેનલ નેશનલ હેરાલ્ડ હાઉસની લીઝ સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને એસોસિએટ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની અરજી પર સુનાવણી કરશે. ગત સુનાવણીમાં હાઈકોર્ટે એસોસિએટ જર્નલ્સ લિમિટેડને રાહત આપતા 22 નવેમ્બર સુધી યથાસ્થિતિ જાળવવાના આદેશ આપ્યા હતાં. કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખાતરી આપી હતી કે સરકાર આ મામલે 22 નવેમ્બર સુધી કોઈ કાર્યવાહી કરશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત સુનાવણીમાં શું થયું હતું તે જાણો
ગત સુનાવણીમાં એજેએલ તરફથી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે યથાસ્થિતિનો અર્થ એ હોવો જોઈએ કે નેશનલ હેરાલ્ડ પરિસર પર કબ્જો મેળવવાની કોઈ કાર્યવાહી 22 નવેમ્બર સુધી થવી જોઈએ નહીં. સિંઘવીએ એ પણ કહ્યું હતું કે બે અધિકારી નેશનલ હેરાલ્ડ હાઉસના પરિસરમાં દાખલ થયા હતાં, જે નહતું થવું જોઈતું. તેમણે કોર્ટ સમક્ષ ફોટોગ્રાફ પણ રજુ કર્યા હતાં. સિંઘવીએ કહ્યું કે તમામ પ્રિન્ટ અને પ્રેસનું કામ પરિસરમાંથી થાય, એ જરૂરી નથી. એક નવી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરાઈ ચૂકી છે, એજેએલ હજુ પણ પરિસરના માલિક છે અને યંગ ઈન્ડિયા કંપનીમાં ફક્ત 98 ટકા શેરધારક હતી. 


શું છે આખો મામલો?
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પટિયાલા હાઉસ કોર્ટમાં નેશનલ હેરાલ્ડ મામલે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય પર આરોપ લગાવ્યાં હતાં કે તેમણે ષડયંત્ર રચીને 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી ફ્રોડ આચર્યું. જેના દ્વારા યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 90.25 કરોડ રૂપિયાની તે રકમ વસૂલવાનો અધિકાર મેળવ્યો, જે એસોસિએટ જર્નલ્સ લિમિટેડે કોંગ્રેસને આપવાનો હતો. આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, સુમન દુબે, સામ પિત્રોડા અને યંગ ઈન્ડિયા કંપની આરોપી છે. હાલ તમામ આરોપીઓ જામીન પર બહાર છે. આ મામલે ફરિયાદકર્તાની જુબાની લેવાઈ ચૂકી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...