નવી દિલ્હી: જો કોઈ એમ સમજતા હોય કે માત્ર અઢી દિવસમાં કર્ણાટકના મુખ્યમંત્રીની ખુરશી છોડનારા 75 વર્ષના બી એસ યેદિયુરપ્પા નિરાશ થઈ ગયા હશે તો તેમણે એકવાર પાછળ વળીને ભૂતકાળ જોઈ લેવો જોઈએ. તમે સમજી શકશો કે કર્ણાટકના રાજકારમમાં ભાજપને મજબુત કરનારા યેદિયુરપ્પા રાજકારણના કેટલા પાક્કા ખેલાડી છે. આ અગાઉ પણતેઓ 2007 નવેમ્બરમાં આ જ રીતે માત ખાઈ ચૂક્યા હતાં. તે સમયે માત્ર સાત જ દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતાં. કોઈ બીજુ હોત તો હતાશ થઈ જાત પરંતુ બરાબર સાત મહિના બાદ મે 2008માં તેઓ ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવીને ફરીથી કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સંયોગ એ પણ કહ્યો કે તેમણે તે સમયે પણ સાત દિવસની ખુરશી જેડીએસના એચ ડી કુમારસ્વામીના કારણે જ છોડવી પડી હતી અને આ વખતે  પણ કુમારસ્વામી જ તેમના માટે  રાહુ બનીને ઉભર્યાં. તે સમયે યેદિયુરપ્પાએ ખુરશી છોડ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું અને આ  રીતે સાત દિવસ સીએમ રહ્યાં બાદ તેઓ ફરીથી મુખ્યમંત્રી પણ બન્યા હતાં.


બીજીવાર જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યાં તો ભ્રષ્ટાચારના આરોપના કારણે ત્રણ વર્ષ બાદ તેમણે ખુરશી  છોડવી પડી હતી. એટલું જ નહીં તેમણે ભાજપ પણ છોડવો પડ્યો  હતો. ત્યારબાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી. તેમની પાર્ટી અલગ ચૂંટણી લડવાના કારણે જ 2013 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ખરાબ રીતે હાર્યો. તે સમયે એવું લાગ્યું હતું કે યેદિયુરપ્પાની કેરિયર ખતમ થઈ જવાની છે. પરંતુ બહુ જલદી તેમણે માત્ર વડાપ્રધાન મોદીનો ભરોસો જ હાંસલ કર્યો એટલું નહીં  પરંતુ 2018ની કર્ણાટક ચૂંટણીની કમાન પણ પોતાના હાથમાં લઈ લીધી હતી. આ ચૂંટણીમાં ભલે પાર્ટીને પૂર્ણ બહુમત ન મળ્યું હોય પરંતુ પાર્ટી 104 બેઠકો જીતી શકી. અહીં ફરીથી તેમને 7ના આંકડાએ દર્દ આપ્યું કારણ કે પાર્ટી 111ના બહુમતના આંકડાથી 7 બેઠકો જ દૂર રહી ગઈ.


આ એ જ યેદિયુરપ્પા છે જેમણે 2018, 2008 અને 2004ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને પાર્ટી નંબર વન બનાવી. આ યેદિયુરપ્પાએ જ 2004ની વિધાનસભા પહેલા કોંગ્રેસના ધરમસિંહ અને ત્યારબાદ જેડીએસના કુમારસ્વામીની સરકારોના પતનના રસ્તા તૈયાર કર્યાં. યેદિયુરપ્પા આ વખતે પણ  ચૂપચાપ બેસી રહેશે નહીં. તેમની આગામી ચાલની રાહ જુઓ...