દેશમાં લોકસભાની ચૂંટણીના આવતીકાલે પરિણામ આવવાના છે. દેશભરના એક્ઝિટ પોલ એનડીએને વનવે જીતાડી રહ્યાં છે. ઈન્ડિયા ગઠબંધનને માંડ 160 સીટો મળી રહી છે પણ વિપક્ષના નેતાઓ એક્ઝિટ પોલને ખોટો ગણાવી રહ્યાં છે. રાહુલે કહ્યું હતું કે ભાજપની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા જઇ રહી છે તેવા દાવા કરતા એક્ઝિટ પોલ જુઠા છે. આને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે પણ ખરેખર તે મોદી મીડિયા પોલ છે. ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં ૨૯૫ બેઠકો મેળવવા જઇ રહ્યું છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ એક્ઝિટ પોલના તારણોને ફગાવતાં કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી ત્રીજીવાર પીએમ બનવામાં સફળ રહેશે તો પોતે માથું મુંડાવી નાખશે. તેમણે દાવો કર્યો છે કે ચોથી જૂને યોજાનારી મતગણતરી બાદ ઈન્ડિયા ગઠબંધન જ સરકાર રચવા માટે સક્ષમ હશે. નવી દિલ્હી બેઠકના આપના લોકસભાના ઉમેદવાર સોમનાથ ભારતીએ એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરતાં કહ્યું હતું કે તમામ એક્ઝિટ પોલ ખોટા પુરવાર થશે . 


સૌથી વધારે રસાકસી મહારાષ્ટ્રમાં છે. 83 વર્ષના શરદ પવાર માટે લોકસભાની ચૂંટણીના પરિણામ ખૂબ અગત્યના છે. પવાર માટે ખૂબ જ મોટી રાજકીય ચેલેન્જ છે. એનસીપીના બે ટૂકડા થઈ ગયા અને અજીત પવારે પોતાનું જૂથ બનાવ્યું ત્યારથી શરદ પવાર ચિંતામાં છે. પવારની એનસીપીના ૧૦ ઉમેદવાર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે. 


પવાર માટે ખાસ કરીને બારામતીની બેઠક ખૂબ અગત્યની છે. બારામતીની બેઠક પરથી એમના પુત્રી સુપ્રિયા સૂલે ઉપમુખ્યમંત્રી અજીત પવાર સામે ચૂંટણી લડી રહ્યા છે. ઉદ્ધવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે આગામી રસ્તો કાંટાળો તાજ છે. ૨૦૨૨ના જૂન મહિનામાં બળવાખોરોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને એકનાથ શિંદે સાથે ભળી ગયા એ આઘાતમાંથી ઉદ્વવ હજી બહાર આવ્યા નથી. 


મહારાષ્ટ્રની ૧૩ બેઠકો પર ઉદ્ધવની સેના, શિવસેનાને સીધી ટક્કર આપી રહી છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આંતરિક કલહમાં સપડાઇ ગયા છે. મુખ્યમંત્રી શિંદે સાથે દરેક બાબતે સમાધાન કરીને એમણે ચલાવવું પડે છે. ચૂંટણીના પરિણામો ફડણવીસના મેનેજમેન્ટની આવડત છતી કરશે. જેને પગલે મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને કેટલી સીટો મળે છે એની પર પણ મહારાષ્ટ્રના ભાજપના નેતાઓનો પણ આધાર છે.